ઉત્તરાખંડ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતાનો ખરડો - કોમન સિવિલ કોડ - પસાર થઈ ગયો છે. આ ખરડા પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ઉગ્ર ચર્ચા થઈ હતી. રાજ્યમાં આ કાયદો લાગુ થયા પછી બહુવિવાહ અને હલાલા જેવી પ્રથા ગેરકાનૂની બની જશે. લગ્ન - વિવાહ, તલાક અને લિવ - ઈન - રિલેશનશિપનું રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય હશે. વિપક્ષ દ્વારા વારંવાર મુદ્દો ઉઠાવવામાં આવતો હતો કે કોઈપણ રાજ્યને આ પ્રકારનો કાયદો લાગુ કરવાની બંધારણીય સત્તા નથી, પરંતુ અનેક રાજ્યોમાં આ પ્રકારના કાયદા પસાર થયા છે. 1975માં કેરળમાં હિન્દુ કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા, જેને લઈ મહિલાઓને પારિવારિક સંપત્તિમાં સમાન અધિકાર મળ્યા હતા. સમાન નાગરિક કાયદો ભાજપનો જૂનો મુદ્દો રહ્યો છે, તેથી આ કાયદાને લાગુ કરવાનો તેને રાજકીય અધિકાર પણ છે. વિપક્ષો દબાયેલા સ્વરમાં આનો વિરોધ કરતા રહ્યા છે, જ્યારે કે મુસ્લિમ સમાજનો વિરોધ ઉગ્ર છે. જમિયત - ઉલેમા - હિન્દના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીને વિશ્વાસ છે કે સમાન નાગરિક સંહિતા નાગરિકોની ધાર્મિક સ્વતંત્રતા પર આઘાત પહોંચાડવા સમજી - વિચારીને કરવામાં આવેલું ષડ્યંત્ર છે. આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે છે. વસ્તુત: આ કાયદો લાગુ થવાથી મુસ્લિમ મહિલાઓને જૂનવાણી રૂઢિઓ અને પ્રથાઓથી મુક્તિનાં દ્વાર ખૂલશે. આ કાયદાની જોગવાઈ અંતર્ગત પતિ કે પત્ની હોય તો બીજાં લગ્ન કરવા પર કડકાઈથી રોક લાગશે. સ્પષ્ટ છે કે આનાથી બહુવિવાહનો નિષેધ થશે. આવી રીતે જે આધાર પર પતિ પોતાની પત્નીને તલાક આપતા હતા, એ જ આધાર પર પત્ની પણ પતિથી તલાક લઈ શકશે. ભારતીય બંધારણનાં નિર્માણના સમયે બંધારણ સભાએ એ વાત પર ભાર મૂક્યો હતો કે રાષ્ટ્રહિતમાં દેશમાં સમાન નાગરિક સંહિતા ઉપયુક્ત સમયે બનાવવી જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ વિભિન્ન કેસોની સુનાવણીમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની તરફેણ કરી છે. આમ છતાં આઝાદી પછી સમાન નાગરિક સંહિતાને લઈ કોઈ અસરકારક પહેલ થઈ નહીં. લાંબી પ્રતીક્ષા પછી હવે ઉત્તરાખંડે આ પગલું ભરવાનું સાહસ કર્યું છે. રાજકીય વર્તુળોમાં ધામી સરકારની આ પહેલનો ગમે તે અર્થ કાઢવામાં આવે, આ પગલું અન્ય રાજ્યો માટે ઉદાહરણ છે. તેઓ પણ આવી રીતે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં આગળ વધી શકશે અને આખા દેશમાં બહેતર માહોલનાં નિર્માણ થવાની સાથે જ કેન્દ્ર સરકાર માટે માર્ગ તૈયાર થશે. એકંદરે રાજ્યની સમાન નાગરિક સંહિતાની પહેલનાં દુરોગામી પરિણામ આવશે.