• મંગળવાર, 15 જુલાઈ, 2025

વિમાનોમાં ઈંધણ સ્વીચ ફરજિયાત

નવી દિલ્હી, તા. 14 : અમદાવાદની ભયાનક વિમાન દુર્ઘટના પછી આવેલા પ્રાથમિક તપાસ અહેવાલનાં તથ્યો બાદ દોષનો ટોપલો પાઈલટ ઉપર ઢોળતી અટકળો અને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે ત્યારે એર ઈન્ડિયાનાં સીબીઓએ તમામ કર્મચારીઓને એક ઈ-મેઈલમાં કહ્યું છે કે, હજી તપાસ પૂર્ણ થઈ ન હોવાથી કોઈ આગોતરા નિષ્કર્ષ કાઢવા નહીં. બીજી બાજુ દુનિયામાં અન્ય એરલાઈન્સ આ તપાસ અહેવાલ પછી સતર્ક થઈ ગઈ છે અને ફ્યૂઅલ સ્વીચ અંગે ખાસ સાવધાની વર્તવા માટે પોતાનાં પાઈલટોને તાકીદ કરી રહી છે. દરમિયાન ડીજીસીએ તરફથી પણ ભારત તમામ એર લાઈન્સને બોઈંગ 737 અને 787માં ફ્યૂલ સ્વીચની ચકાસણી 21 જુલાઈ સુધીમાં કરાવી લેવા સૂચના આપી દેવામાં આવી છે. એતિહાદ સહિતની એરલાઈન્સ દ્વારા પાયલટોને વિશેષ સૂચના આપવામાં આવી છે. જેમાં ફ્યૂલ સ્વીચમાં ખાસ તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે. આમાં ફ્યૂલ કંટ્રોલ સ્વીચ કે તેની આસપાસની અન્ય સ્વીચ, કંટ્રોલને ઓપરેટ કરતી વખતે સતર્ક રહેવા માટે કહેવાયું છે. આ ઉપરાંત એતિહાદે તો ફ્યૂલ સ્વીચની તપાસ પણ કરવામાં આવશે તેવું કહ્યું છે. બીજીબાજુ દક્ષિણ કોરિયાનાં પરિવહન મંત્રાલયે તો પોતાની એરલાઈન્સમાં બોઈંગ વિમાનમાં ફ્યૂલ કંટ્રોલ સ્વીચોની તપાસ કરવાનો નિર્દેશ પણ આપી દીધો છે. બીજીબાજુ એર ઈન્ડિયાનાં સીઈઓ કેમ્પબેલ વિલ્સને પોતાનાં કર્મચારીઓને આજે આપેલા એક સંદેશમાંકહ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વિમાનમાં કોઈપણ પ્રકારની મિકેનિકલ કે મેન્ટેનન્સની સમસ્યા નહોતી. ઈંધણની ગુણવત્તામાં પણ કોઈ વાંધો દેખાયો નથી. ટેક ઓફ રોલ પણ બરાબર જ હતો. પાયલટોએ પણ ઉડાન પહેલા બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ પાસ કરેલા હતાં. તેમની સ્વાસ્થ્યની સ્થિતિમાં પણ કંઈ અસાધારણ જોવા મળ્યું નહોતું. તેમ છતાં આ પ્રાથમિક તપાસ ઉપરથી કોઈ આખરી નિષ્કર્ષ ઉપર આવવું નહીં તેવી સૂચના બધા કર્મચારીઓને આપવામાં આવી છે.

Panchang

dd