નવી દિલ્હી, તા. 29 : એશિયા કપ-202પમાં ભારત-પાકિસ્તાન મેચને
લઇને વિવાદ થંભી જવાનું નામ લેતો નથી. ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચેની એશિયા કપની
મેચ યુએઇમાં 14 સપ્ટેમ્બરે છે. એશિયા કપમાં બન્ને ટીમ વચ્ચે ત્રણ સંભવિત ટક્કર
થઇ શકે છે. કેટલાક પૂર્વ ક્રિકેટરો અને રાજકારણીઓ આનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે બીસીસીઆઇના
પૂર્વ ચેરમેન અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રમતને રાજનીતિથી દૂર રાખી ભારત-પાક. મેચની
તરફેણ કરી છે. સરકારે અંતિમ નિર્ણય બીસીસીઆઈ પર નાખતાં બોર્ડ માટે પણ મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે. ખેલ મંત્રાલયના
એક અધિકારીએ જણાવ્યું કે બીસીસીઆઇ સ્વતંત્ર રૂપથી કામ કરતી ખેલ સંસ્થા છે. હજુ સુધી
નેશનલ સ્પોર્ટસ ગવર્નન્સ બિલ લાગુ થયું નથી. બીસીસીઆઇ લોકોની લાગણી પર શું નિર્ણય લેશે
તેના પર અમારી નજર છે. જો કે, અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર
જ બીસીસીઆઇ આખરી નિર્ણય લેશે. જો ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપ રમાશે નહીં તો પૂરી
ટૂર્નામેન્ટ નિષ્ફળ બનશે અને ખાસ કરીને પ્રસારણકર્તાને ભારે નુકસાન થશે. જેના અધિકાર
સોની નેટવર્ક પાસે છે. એશિયા કપનું આયોજન 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન યુએઇમાં
થયું છે. આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં
રમાશે. જે 2026ના ટી-20 વર્લ્ડ કપની તૈયારીનો હિસ્સો
છે. ભારત-પાક. ટીમ એક જ ગ્રુપમાં છે. ગ્રુપ-એમાં ભારત, પાકિસ્તાન, યુએઇ અને ઓમાન
છે. ગ્રુપ-બીમાં શ્રીલંકા, બાંગલાદેશ, અફઘાનિસ્તાન
અને હોંગકોંગ ટીમ છે.