• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

દિવ્યાંગોની માવજત લેતી 20 સંસ્થાનું સન્માન

માધાપર (તા. ભુજ), તા. 25 : અહીંનાં નવચેતન અંધજન મંડળનાં 50મા વર્ષની ઉજવણી અંતર્ગત કચ્છમાં દિવ્યાંગતા ક્ષેત્રે કાર્ય કરતી 20 સંસ્થા અને છ કર્મચારી એવોર્ડ સાથે સન્માનિત કરાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. ગુરુવારે માધાપરના દિવ્યાંગ કન્યાકુંજ સંચાલિત નવચેતન અંધજન મંડળ ખાતે કાર્યક્રમની શરૂઆત દિવ્યાંગ બાળકો દ્વારા પ્રાર્થનાથી કરાયા બાદ સંસ્થાના મંત્રી હિમાંશુભાઈ સોમપુરાએ મહેમાનોને શાબ્દિક આવકાર આપી સંસ્થાના 50 વર્ષની સિદ્ધિઓ અને કાર્યવાહીનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે 1976માં સ્થાપના વખતની પ્રથમ કારોબારી સભાના હયાત સભ્યોનું અભિવાદન કરી તેમનો ઋણસ્વીકાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કચ્છ જિલ્લામાં કાર્યરત 20 સંસ્થાનું સન્માન ઉપસ્થિતો મગનલાલ ગાલા, શશિકાંત વેકરિયા (વાક્રોફ્ટ), કિશોર નારદાણી, વાઘજીભાઈ વાઘજિયાણી, લાલજીભાઈ વરસાણી (કેર એજ્યુકેશન), લાલજીભાઈ વરસાણી, રમેશભાઈ નિસર, કચ્છી લેવા પટેલ સમાજના ટ્રસ્ટી રવજીભાઈ ગોરસિયા, લેવા પટેલ યુ.કે. સમાજના પ્રમુખ માવજીભાઈ વેકરિયા, માધાપર નવાવાસના સરપંચ વાલજીભાઈ આહીર, માધાપર જૂનાવાસના સરપંચ ગંગાબેન મહેશ્વરી, જિલ્લા પંચાયતના સદસ્ય પારુલબેન કારા, તાલુકા પંચાયતના સદસ્ય પ્રવીણાબેન રાઠોડ, અશ્વિનભાઈ વોરા (યુ.કે.), દેવજીભાઈ દબાસિયા (નૈરોબી), ભરતભાઈ મહેતા (લાયન્સ ક્લબ પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર), એપીએમસીના ચેરમેન શંભુભાઈ આહીર, પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહ, લીલાધરભાઈ ગડા તથા સમાજ સુરક્ષા અધિકારી એન. એસ. ચૌહાણ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે નવચેતન અંધજન મંડળના વિદ્યાર્થીઓએ નવચેતન નાટક રજૂ કરી નવચેતનના ઇતિહાસને જીવંત કરી બતાવ્યો હતો. દર વર્ષે સંસ્થા દ્વારા `સ્વર્ગસ્થ કરસન મેઘજી વેકરિયા' ગુજરાતમાં શ્રેષ્ઠ કામ કરનાર કર્મચારીને અપાય છે તે પારિતોષિક રમતગમત ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર ગૌરવ પારેખને, `સ્વ ચાંપશીભાઈ ડી. નંદુ' પારિતોષિક પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક હિંમત રાજારામ કાપૂરને રોહિતભાઈ ચાંપશી નંદુ તથા સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ ગડાએ એનાયત કર્યો હતો. સંસ્થાના શ્રેષ્ઠ કર્મચારીઓ વિમલકુમાર, રસીલાબેન હીરાણી, નિશાબેન ભુડિયા તથા ધનજીભાઈ આહીરને હીરાલાલ ચાવલા, કિશોરભાઈ નારદાની, હરજીભાઈ હીરાણી, ઝીણાભાઈ દબાસિયા દ્વારા એવોર્ડ એનાયત કરાયા હતા. આ ઉપરાંત કચ્છમાં ધોરણ 10 અને 12માં દિવ્યાંગજનોમાં સૌથી વધુ ગુણ મેળવનાર સમ્યક સંઘવી, આહીર કાનાને રામજી કાનજી હીરાણી ચેરિટેબલ ટ્રસ્ટના જાદવજીભાઈ વરસાણીએ શિષ્યવૃત્તિના ચેક અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના જનરલ સેક્રેટરી લાલજીભાઈ પ્રજાપતિ, ટ્રસ્ટી તથા કારોબારી સભ્યો વનરાજાસિંહ જાડેજા, ખીમજીભાઇ વેકરિયા, ઝરણાબેન વ્યાસ, દામજીભાઈ ઓઝા, હોથુજી જાડેજા, સુમિત્રાબેન ગઢવી, જાદવજીભાઈ વેકરિયા, ચીફ કો-ઓર્ડિનેટર દીપક પ્રસાદ તથા કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. સંચાલન રીમાબેન ભાટિયા તથા માધવીબેન દવેએ કર્યા હતા.

Panchang

dd