ગાંધીધામ, તા.
22 : અંજારના મેઘપર બોરીચીમાં રહેનારા એક યુવાનને રૂા. 40 હજાર આપી તેનું બાઈક ગિરવે
મૂકી યુવાને પૈસા આપી દીધા છતાં બાઈક પરત ન અપાતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મેઘપર
બોરેચીની ભક્તિધામ સોસાયટીમાં રહેનારા અજય મણિયાર રાજપૂતે રાધે જગદીશ જોશી, નિલેશ મહેશ્વરી
તથા કિડાણાના રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ પોલીસ મથકો ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામમાં
આશાપુરા ઓટો ગેરેજમાં કામ કરનારા આ યુવાનને રૂા. 40 હજારની જરૂરિયાત ઊભી થતાં તેવો
રાધે જોશી તથા નિલેશ મહેશ્વરીને આ અંગે વાત કરી હતી. આ બંનેએ રાજદીપસિંહ રૂપિયા આપશે,
પણ બાઈક ગિરવે મૂકવી પડશે અને પાંચ ટકા વ્યાજે પૈસા આપશે તેવું કહ્યું હતું, જેથી આ
ત્રણેય અંતરજાળ પાતાળિયા હનુમાન મંદિર પાસે જતાં ત્યાં રાજદીપસિંહે રૂપિયા આપી ફરિયાદીની
બાઈક પોતાની પાસે રાખી લીધી હતી. બાદમાં ફરિયાદી પાસે પૈસા થતાં તેઓ પહેલાં રૂા.
25 હજાર આપી બાદમાં નિલેશ મહેશ્વરીના ઘરે રૂા. 15 હજાર આપતાં આ શખ્સોએ વ્યાજની માંગ
કરી હતી અને જો તે ન મળે તો બાઈક નહીં મળે તથા પોલીસમાં ફરિયાદ કરીશ, તો હાથ-પગ ભાંગી
નાખવાની ધમકી આપી હતી. ગત તા. 14/5ના અંજાર પોલીસ મથકે થયેલી આ અરજી અંગે ગઈકાલે રાત્રે
પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.