બાર્બાડોસ,
તા. 29 : ટી-20 વિશ્વકપમાં વિજય સાથે ટીમ ઈન્ડિયાએ ઇતિહાસ રચ્યાના રોમાંચક પ્રસંગથી દેશભરના ક્રિકેટરસિયાઓમાં ફેલાયેલી ખુશીની લહેર વચ્ચે સ્ટાર ખેલાડી
વિરાટ કોહલીએ શનિવારની રાત્રે ટી-20 ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું એલાન કર્યું હતું. ક્રિકેટપ્રેમી સમુદાય માટે કોહલીનું આ એલાન આનંદ વચ્ચે આંચકા સમાન બની રહ્યું હતું. ફાઇનલમાં આફ્રિકાને સાત રને હાર આપી ખિતાબી જીત બાદ કોહલીએ કહ્યું હતું કે, આ મારો અંતિમ ટી-20 વિશ્વકપ હતો. વિશ્વકપ ફાઇનલમાં 76 રન ફટકારી દઇને વિજયમાં વિરાટ યોગદાન સાથે વિદાય લેનાર કોહલીએ જણાવ્યું હતું કે, હવે નવી પેઢી બાગડોર સંભાળે. આ ભારત માટે મારી છેલ્લી ટી-20 મેચ હતી, અમે આ કપ ઉઠાવવા માગતા હતા, મોકો હતો - `અત્યારે અથવા કદી નહીં' જેવી સ્થિતિ હતી. બસ, હવે દેશના પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને તક મળે તેવું ઇચ્છું
છું, તેવું વિરાટે કહ્યું હતું. કોહલીએ કહ્યું હતું કે, આ એક ખુલ્લું રહસ્ય હતું. એવું કંઇ નહોતું જે હાર પછી પણ ઘોષિત નહોતો કરવાનો. અમારા માટે આઇસીસી ટૂર્નામેન્ટ જીતવાનો ઇંતજાર લાંબો રહ્યો છે. રોહિત શર્માએ નવ ટી-20 વિશ્વકપ રમ્યા છે અને મારો આ છઠ્ઠો વિશ્વકપ હતો. રોહિત એ વ્યક્તિ છે જે આ જીતનો સૌથી વધારે હક્કદાર છે. આ ભવ્ય વિજય બાદ ભાવનાઓનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે, તેવું કોહલીએ કહ્યું હતું.