ઈમ્ફાલ, તા.7 : મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઊઠી હતી. આજે
જિરિબામના પહાડી વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે ગોળીબાર થતાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત
થયાં હતાં. બીજીતરફ ઈમ્ફાલમાં મણિપુર રાઈફલ્સના મુખ્યાલયમાં ટોળાંએ હુમલો કર્યો હતો.
ટોળાંને વિખેરવા માટે પોલીસ અને સુરક્ષાદળોને ગોળીબાર કરવો પડયો હતો. ઈમ્ફાલ પશ્ચિમ
અને ઈમ્ફાલ પૂર્વ જિલ્લાઓમાં ગઈ મોડી રાત્રે ટોળાંએ મણિપુર રાઈફલ્સના મુખ્યાલય પર હુમલો
કર્યો હતો. ટોળાંનું લક્ષ્ય હથિયારો છીનવવાનું હતું. પોલીસ અને સીઆરપીએફે મળીને ટોળાંને
વિખેરવા અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પેલેટ ગનનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય મોક બોમ્બ
અને અશ્રુવાયુના સેલ પણ છોડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પાંચને ઈજા પહોંચી હતી જેમની
જેએનઆઈએમએસમાં સારવાર ચાલી રહી છે. રાજ્યમાં વધતી હિંસાને ધ્યાને લઈને તમામ શાળા-કોલેજ બંધ કરવામાં
આવ્યા હતા. મણિપુરની અખંડતા સમિતિ (સીઓસીઓએમઆઈ)એ સરકાર પર કાયદો વ્યવસ્થા લાગુ કરવામાં
નિષ્ફળ જવાનો આરોપ લગાવી કામ રોકવા અને સાર્વજનિક કફર્યુનું આહવાન કર્યું હતું.