મુંબઈ, તા. 15 : ભારતીય
ક્રિકેટ ટીમના ઉપકપ્તાન અને યુવા ઓપનિંગ બેટર શુભમન ગિલએ બાંગલાદેશ વિરુદ્ધની આગામી
ટી-20 શ્રેણીમાં બીસીસીઆઇ રેસ્ટ આપશે તેવા અહેવાલ છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળે છે
કે પસંદગીકારોએ યુવા વિકેટકીપર ઇશાન કિશનને ફરી તક આપવાનું મન બનાવી લીધું છે. ભારત-બાંગલાદેશ
વચ્ચેની 3 મેચની ટી-20 શ્રેણી 7 ઓક્ટોબરથી શરૂ થવાની છે. ટેસ્ટ ફોર્મેટમાં ત્રીજા નંબર
પર બેટિંગ કરનાર શુભમન ગિલ, કપ્તાન રોહિત શર્મા, વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ સાથે
આ સિઝનની તમામ 10 ટેસ્ટ મેચ રમશે તેવી આશા છે. આગામી ન્યુઝિલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીને
ધ્યાને રાખીને ગિલ ઉપરાંત બીજા કેટલાક મહત્ત્વના ખેલાડીઓને બાંગલાદેશ વિરુદ્ધની ટી-20
શ્રેણીમાં વિરામ મળી શકે છે. વિકેટકીપર ઋષભ પંત અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ
સિરાજને પણ વિશ્રામ મળી શકે છે. આ શ્રેણીની 3 મેચ 7, 10 અને 13 ઓક્ટોબરે અનુક્રમે ગ્વાલિયર,
દિલ્હી અને હૈદરાબાદમાં રમાવાની છે. એ પહેલા બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. જેના મેચ
19મીએ ચેન્નાઈમાં અને 27મીથી કાનપુરમાં શરૂ થવાની છે.