ગાંધીધામ/ભુજ, તા. 15 : આદિપુરમાં તોલાણી આર્ટસ કોલેજની પાછળ
આવેલાં તળાવમાંથી પ્રકાશ ઉર્ફે પપ્પુ અશોક થાવરાની (ઉ.વ.34)ની લાશ મળી આવી હતી, જ્યારે
નખત્રાણા તાલુકાના કોટડા (જ.)નાં તળાવમાંથી ગામના 80 વર્ષીય વૃદ્ધા ધનબાઇ દાનાભાઇ ભદ્રુની
લાશ મળી હતી. આદિપુરમાં વોર્ડ-2-બીમાં આશાપુરા મંદિર પાસે રહેનાર પ્રકાશ નામના યુવાનનું
ગઇકાલે મોત થયું હતું. આર્ટસ કોલેજ પાછળ આવેલાં તળાવ બાજુ આ યુવાન હતો, દરમ્યાન કોઇ
કારણોસર તે તળાવમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું. આ યુવાને આપઘાત કર્યો હશે કે અકસ્માતે
બનાવ બન્યો હશે કે અન્ય કંઇ હશે તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.બીજી તરફ નખત્રાણાના કોટડા (જ.)ના ધનબાઇ ભદ્રુ (ઉ.વ.80) માનસિક
રીતે અસ્વસ્થ હતા. ગઇકાલે રાતે કંઇ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા અને આજે સવારે ગામનાં
ભોદ્રાઇ તળાવમાં તેમની તરતી લાશ મળી હતી. લાશને તળાવમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાતાં
ફરજ પરના તબીબે ચકાસીને મૃત ઘોષિત કર્યા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ
કરી તજવીજ આદરી છે.