ભાગલપુર, તા. 15 : કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રવનિતસિંહ
બિટ્ટુએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિશે વિવાદિત નિવેદન કર્યું હતું. રવનિતસિંહે
રાહુલને દેશના નંબર વન આતંકી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ શીખ સમુદાયને
વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો છે. શીખ કોઇ પક્ષ સાથે સંકળાયેલા નથી અને આ પલિતો ચાંપવાનો
પ્રયાસ છે. રાહુલ ગાંધી દેશના નં. વન આતંકી છે. તેમણે આ વિવાદિત બયાન રાહુલ ગાંધીના
અમેરિકામાં શીખોને લઇને નિવેદન પરથી કર્યું હતું. બિટ્ટુએ ભાગલપુર ખાતે વધુમાં જણાવ્યું
હતું કે, મેં પડકાર ફેંક્યો છે. કોઇપણ શીખ જે અહીં હાજર છે અને કોઇપણ પક્ષ સાથે સંકળાયેલો
નથી. તે એમ બોલી દે કે ભાગલપુરમાં કોઇએ તેમને કહ્યું હોય કે તમે કડું નહીં પહેરી શકો,
તમે પાઘડી ધારણ કરી નહીં શકો, તમે ગુરુદ્વારા જઇ?નહીં શકો. એકપણ શીખ અહીં આવીને કહે
તો હું તરત જ ભાજપ પક્ષ ત્યજી દઇશ. દિવાસળી દેવા માટે પહેલાં મુસ્લિમને ભડકાવવાના પ્રયાસ
સફળ?ન થયા તો હવે સીમા પર જે શીખ છે, દેશરક્ષકો છે તેમાં ભાગલા પાડવાના પ્રયાસ કરી
રહ્યા છે. દેશના વોન્ટેડ જેવાં નિવેદન આપતાં હતાં તેવાં જ નિવેદન રાહુલ ગાંધી આપે છે.
આવા લોકો જ્યારે રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા તો સમજી જજો દેશના એક નંબરના આતંકી
રાહુલ ગાંધી છે અને તેમને પકડવા માટે સૌથી મોટું ઇનામ હોવું જોઇએ. પત્રકારો દ્વારા
પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું હતું કે, મારા મત મુજબ રાહુલ ગાંધી
પહેલાં તો ભારતીય નથી, વધુ પડતો સમય તેઓએ વિદેશમાં વીતાવ્યો છે. તેમના મિત્રો, પરિવાર
વિદેશમાં છે, તેથી તેમને ભારત માટે લાગણી નથી.