નવી દિલ્હી, તા.24: ઘઉંના વધતા ભાવને લઇને સરકાર હવે સક્રિય થઇ ગઇ છે. ઘઉંના
સંગ્રહને રોકવા માટે સરકારે સોમવારે તેના જથ્થાની મર્યાદા નકકી કરી છે. સરકારે આ મર્યાદા
છૂટક વેપારી અને મોટા ચેઇન રિટેલર્સ માટે ઘઉંના સંગ્રહ પર લગાવી છે. ભાવ સ્થિરતા જાળવવા અને સંગ્રહખોરી રોકવા
માટે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ સોમવારે
જણાવ્યું હતું કે છૂટક વેપારી, મોટા ચેઇન છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારીઓ દર શુક્રવારે
તેમની પાસે સંગ્રહિત ઘઉંના જથ્થાનો ખુલાસો કરશે. ચોપરાએ કહ્યું કે સરકાર દેશમાં ઘઉંની
આછતને દૂર કરવા માગે છે. અત્યારે ઘઉંની નિકાસ પર કોઇ પ્રતિબંધ નથી અને ખાંડની નિકાસ
પરના પ્રતિબંધની સમીક્ષા કરવાનો કોઇ પ્રસ્તાવ નથી. ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે
જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક મર્યાદા 30,000 ટન હશે, જ્યારે પ્રોસેસર્સ માટે તે પ્રોસેસિંગ
ક્ષમતાના 70 ટકા હશે. મોટા ચેઇન રિટેલર્સ માટે આ મર્યાદા 10 ટન પ્રતિ આઉટલેટ હશે, જેની
કુલ મર્યાદા 3,000 ટન હશે અને સિંગલ રિટેલર્સ માટે આ મર્યાદા 10 ટન રહેશે. ઘઉં સહિત
આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા હોવાના તાજેતરના મીડિયા અહેવાલોને ધ્યાનમાં રાખીને
જથ્થા મર્યાદા લગાવવામાં આવી છે. સંગ્રહખોરી ઘટાડવા માટે સ્ટોક લિમિટ લગાવવામાં આવી
છે. તેમ ચોપડાએ જણાવ્યું હતું.