નવી દિલ્હી, તા. 20 : કોંગ્રેસ
સંસદીય પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર
કર્યા હતા. બહુ અફસોસની વાત છે કે,
સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું છે, તેવો
કટાક્ષ કોંગ્રેસ નેતાએ કર્યો હતો. સોનિયાએ આરોપ મૂક્યો હતો કે, છેલ્લાં 11 વર્ષમાં મોદી સરકારે ગ્રામીણ
ક્ષેત્રોના બેરોજગારો, ગરીબો અને વંચિતોનાં હિતોની અવગણના કરી મનરેગાને કમજોર કરવાની કોશિશ કરી
છે. માત્ર મહાત્મા ગાંધીનું નામ જ
હટાવ્યું નથી, પરંતુ મનરેગાનું રૂપ-સ્વરૂપ કોઈ પણ જાતના
વિચાર - વિમર્શ, વિપક્ષને વિશ્વાસમાં લીધા વિના બદલી નખાયું
છે, તેવું તેમણે કહ્યું હતું. મોદી સરકારે આ કાયદાને કમજોર
કરીને દેશના કરોડો કિસાનો, શ્રમિકો, ભૂમિવિહોણા
ગરીબોનાં હિતો પર હુમલો કર્યો છે, તેવા પ્રહાર સોનિયાએ કર્યા
હતા. તેમણે કહ્યું હતું કે, આ હુમલાનો મુકાબલો કરવા અમે
તૈયાર છીએ. 20 વર્ષ પહેલાં ગરીબ ભાઈ - બહેનોને રોજગારનો અધિકાર અપાવવા માટે
પણ હું લડી હતી. આજે પણ આ કાળા કાયદા સામે લડવા માટે પ્રતિબદ્ધ છું. મારા જેવા
કોંગ્રેસના તમામ નેતાઓ, કાર્યકરો, શ્રમિક, ગરીબ,
વંચિત સમુદાયની સાથે છે. હવે કોને, ક્યાં,
કેટલો, કેવા પ્રકારનો રોજગાર મળશે તે જમીની
હકીકતથી દૂર દિલ્હીમાં બેસીને નક્કી કરાશે તેવા પ્રહાર સોનિયાએ કર્યા હતા.