શિરાચા, તા. 20 : અદાણી પોર્ટસ એન્ડ સેઝ લિ. દ્વારા
દાનેશ્વર મહાદેવ મંદિર (શિરાચા) ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ શનિવારે વિરામ
પામી હતી. આ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાંથી અભૂતપૂર્વ રીતે 1,00,000થી
વધુ લોકોએ કથારસનો લાભ લીધો હતો. તેમજ 4000થી વધુ લોકોએ કથા સ્થળે યોજાયેલા
મેડિકલ કેમ્પનો લાભ મેળવ્યો હતો. વિરામ દિવસે અદાણી પોર્ટસ એન્ડ એસ.ઈ.ઝેડ.ના
મેનાજિંગ ડિરેક્ટર કરણ અદાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મુંદરા તેમજ આસપાસના
ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. લોકોએ
કરણભાઈ અદાણીને આ અદ્ભુત કથાના આયોજન માટે અભિનંદન પાઠવ્યાં હતાં. અદાણી
પોર્ટસના ગ્રુપ સીઈઓ અશ્વિનીકુમાર ગુપ્તા,
મુંદરા-તુણા પોર્ટના સીઈઓ સુજલકુમાર શાહ તેમજ અન્ય અધિકારીઓ પણ
ઉપસ્થિત રહ્યા હતા. વિરામ દિવસે અદાણી પોર્ટસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે ઉદ્બોધનમાં જણાવ્યું કે, `સર્વજન
હિતાય, સર્વજન
સુખાય'ના ઉદ્દેશથી યોજાયેલી આ કથામાં અદાણી પોર્ટસ માત્ર
નિમિત્ત બન્યું છે. સૌની સહભાગિતાથી જ આ આયોજન સફળ થયું છે. વધુમાં તેઓએ જણાવ્યું
હતું કે, આ કથા શીખવે છે કે, ભક્તિ અને
કર્મ અલગ નથી, સેવા અને વિકાસ વિરોધી નથી, સેવા વગરનો વિકાસ અધૂરો છે. `અજ અસાં જોકો ઐયું આં થકી ઐયું' કચ્છીમાં ઉદ્બોધન કરી
સર્વેના યોગદાનને બિરદાવ્યું હતું અને કહ્યું હતું કે, અદાણી
પરિવાર હંમેશાં આપ સૌનો ઋણી રહેશે. લોકોનો વિશ્વાસ અને સાથ એ જ મોટી સંપત્તિ છે.
અત્યારે જે સંપ દેખાયો એ જીવનભર રહેશે અને આપણે સૌએ સાથે મળીને કામ કરતા રહેવાનું
છે. હજુ શરૂઆત છે, મુંદરાને હજુ ઘણું આગળ લઈ જવાનું છે. રોજ
હજારો ભાવિકની હાજરી વચ્ચે શિરાચા ગામ ઐતિહાસિક તેમજ અભૂતપૂર્વ કથાનું સાક્ષી
બન્યું હતું. કથા સ્થળે રોજ હજારોએ પ્રસાદનો લાભ લીધો હતો. રોજ મેડિકલ કેમ્પમાં
માત્ર નિદાન જ નહીં, પરંતુ જરૂર પડે તો આગળની સારવાર માટે પણ
અદાણી પોર્ટસ દ્વારા સહાયની વ્યવસ્થા કરવામાં આવી હતી. અદાણી ફાઉન્ડેશન દ્વારા
નિયમિત આસપાસના ગામોમાં ઘાસચારો પૂરો પાડવામાં આવે છે, પરંતુ
આ કથા દરમિયાન સવિશેષ આસપાસના ગામોમાં ગાયોને લીલો ઘાસચારો આપવામાં આવ્યો, સાથે જ કૂતરાઓને રોટલી અને પક્ષીઓને ચણ વહેંચવાનું કાર્ય અવિરત ચાલુ
રહ્યું. કથામાં પધારેલા સાધુ-સંતો અને મહંતોમાં દેવેન્દ્રગિરિજી ગુરુજી (દાનેશ્વર
મહાદેવ મંદિર, શિરાચા), મનોહરગિરિ બાપુ (મહંત, દાનેશ્વર મહાદેવ જાગીર), દેવદરબાર 1008 બળદેવનાથ
જાગીર, ઉપરાંત
ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા
પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા વિ. ઉપસ્થિત રહ્યા હતા. અદાણી પરિવાર દ્વારા આ
વર્ષે પ્રયાગરાજ મહાકુંભમાં સહયોગ, જગન્નાથપુરી રથયાત્રા,
ગીતા પ્રેસ-ગોરખપુરને સહાય, ઇન્ડોલોજી તેમજ
હવે શિરાચાના અતિ પ્રાચીન દાનેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં શ્રીમદ્ ભાગવત
સપ્તાહનું આયોજન એ અદાણી ગ્રુપની ધાર્મિક, સાંસ્કૃતિક અને
સામાજિક સદ્ભાવના પ્રતીત થાય છે. વિવિધ ગામોના પ્રતિનિધિઓ, સામાજિક
અગ્રણીઓ, વિવિધ સંગઠનો અને વિવિધ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓએ
કરણભાઈ અદાણી, રક્ષિતભાઈ શાહનું સન્માન કર્યું હતું અને
અદાણી પરિવાર વતી રક્ષિતભાઈ શાહે પણ ઉપસ્થિત સંતો, મહંતો અને
મહાનુભાવોનું સન્માન કર્યું હતું. આ સમગ્ર આયોજન દરમ્યાન વ્યવસ્થામાં સહભાગી થયેલા
વિવિધ સરકારી તંત્રો, સંસ્થાઓ, વિવિધ
ગામોના સ્વયંસેવકો તેમજ અદાણી પરિવારના તમામ સભ્યો, સ્ટાફ,
વિવિધ વિભાગ સહિતનું સ્ટેજ પર બોલાવી રક્ષિતભાઈ અને અમીબેન શાહે
સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.