દુબઇ, તા. 19 : હાલના ઉતાર-ચડાવભર્યાં દેખાવ
વચ્ચે ટીમ ઇન્ડિયા માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર દેખાવ કરવો અનિવાર્ય બન્યો છે.
ગુરુવારે ભારતીય ટીમ બાંગલાદેશ સામેની મેચ સાથે તેના ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાનનો આરંભ
કરશે. ભારત સામે બુમરાહની અનુપસ્થિતિ વિના બોલિંગ મોરચે સારો દેખાવ કરવાનો પડકાર હશે.
શું રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમના શાનદાર ફોર્મમાં વાપસી કરી શકશે ? શું નંબર વન શુભમન ગિલ સતત સારો દેખાવ કરી
શકશે ? સ્પિન ત્રિપુટી દુબઇની પિચ પર સફળ થશે ? જેવા બીજા અનેક સવાલથી ટીમ ઈન્ડિયા ઘેરાયેલી છે અને તેનો જવાબ મેદાનમાં બોલ
અને બેટથી આપવાનો છે. પહેલી મેચમાં પાડોશી દેશ બાંગલાદેશને પરાજિત કરવાની રોહિતસેના
સામે ચુનૌતિ છે. ટીમ ઇન્ડિયાએ હજુ પણ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે 0-3ની ટેસ્ટ હાર અને ઓસ્ટ્રેલિયા
સામેની 1-3ની હાર સતાવી રહી છે. સારી
વાત એ છે કે ઇંગ્લેન્ડ સામેની મર્યાદિત ઓવરોની શ્રેણીમાં યુવા ખેલાડીઓનો દેખાવ શાનદાર
રહ્યો છે. આ ઉપરાંત કપ્તાન રોહિત શર્માના બેટમાંથી સદી પણ નીકળી હતી. જો કે ચેમ્પિયન્સ
ટ્રોફીમાં ભારત સામે અલગ પડકાર છે. અહીં ગ્રુપ એમાં ભારત સામે બાંગલાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે રમવાનું છે.
જેમનું સ્પિન ડિપાર્ટમેન્ટ ઇંગ્લેન્ડ કરતા ઘણું સારું છે. ગ્રુપ સ્ટેજમાં એક હાર પણ
સમીકરણ બગાડી શકે છે. જો કે પ0 ઓવરના ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા સારો દેખાવ કરતી આવી છે. આમ છતાં
બાંગલાદેશનો સામનો કરતી વખતે સાવધાની જરૂરી રહેશે. ટીમ ઇન્ડિયા માટે ઇલેવન નક્કી કરવાનું
શિરદર્દ છે. વિકેટકીપર તરીકે કેએલ રાહુલ અને ઋષભ પંતમાંથી કોની પસંદગી કરવી તેના પર
સસ્પેન્સ પ્રવર્તી રહ્યંy છે. અક્ષર
પટેલને પાંચ કે છ નંબર પર ઉતારવો તેની પણ દ્વિધા છે. બુમરાહની ગેરહાજરીમાં શમીની સાથે
અર્શદીપ અને હર્ષિત રાણામાંથી કોઇ એકની પસંદગી થશે. આથી ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનો
રોલ મહત્ત્વનો બની જશે. શમીએ તેનો દેખાવ સુધારવો પડશે. સ્પિન ત્રિપુટીમાં રવીન્દ્ર-અક્ષર
અને કુલદીપની સંભાવના વધુ છે. બીજી તરફ બાંગલાદેશ ટીમ સ્ટાર ઓલરાઉન્ડર શકીબ અલ હસન
વિના નબળી પડી છે. આમ છતાં તેમના ખેલાડીઓ પાસે પ0 ઓવરના ફોર્મેટનો સારો અનુભવ છે. નઝમૂલ હસન શાંતોના સુકાનીપદ
હેઠળની બાંગલાદેશ ટીમનો ઇરાદો ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની પહેલી મેચમાં જ ભારતને આંચકો
આપી ઉલટફેર કરવાનો રહેશે.