અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના
નાણાં મંત્રી કનુ દેસાઈ આજે વિધાનસભા ગૃહ ખાતે વર્ષ 2025-26 માટે રાજ્યનું અંદાજપત્ર રજૂ
કરશે. વિધાનસભા ખાતે આવી પહોંચેલા નાણા મંત્રીના હાથમાં રહેલી લાલ કલરની પોથીએ અનેરૂ
આકર્ષણ જમાવ્યું હતું. નાણા મંત્રીએ ગુજરાતના અંદાજપત્રને કોઈ સમાન્ય બેગના સ્થાને
ખાસ પ્રકારની આ લાલ પોથીમાં રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી
ચિત્રકલા અને કચ્છની ભાતીગળ આહીર ભરતની બોર્ડર અંકિત કરાયેલી છે. આ ઉપરાંત ભારતના રાજાચિન્હ
અશોક સ્તંભને પણ પોથી પર દર્શાવવામાં આવ્યો છે. વારલી એ લગભગ 1200 વર્ષ જૂની અને લુપ્ત થઈ રહેલી
એક વિશેષ ચિત્રકલા છે. આ ચિત્રકલા મુખ્યત્વે ત્રિકોણ ગોળ અને ચોરસ જેવા જુદા-જુદા ભૌમિતિક
આકારની મદદથી બનાવવામાં આવે છે. કચ્છની પ્રખ્યાત આહિર ભરત કલા કોટનના કપડા ઉપર ઉનથી
ભરવામાં આવે છે. આ ભરત ભરતી વખતે ઉપર તથા નીચે એક જ સરખી ભાત પડે છે અને તેની ગાંઠ
પણ દેખાતી નથી. મોટાભાગે આ ભરત બહેનો દ્વારા ભરવામાં આવે છે. મુખ્યત્વે ઢોરી, સુમરાસર, કુનરીયા,
કોટાય અને ધ્રંગ જેવા વિવિધ ગામોમાં આ ભરતકામ થઈ રહ્યું છે.