ભુજ, તા. 28 : આત્મનિર્ભર એટલે આપણા પોતાના સ્વબળે, પોતાના પર નિર્ભર, `સ્વાવલંબી' અથવા તો પોતે સક્ષમ થવું એમ કહી શકાય. વ્યક્તિથી સમાજ અને સમાજથી રાષ્ટ્ર શક્તિશાળી બને છે, પરંતુ તે પોતે સ્વંય આત્મનિર્ભર હોય તો જ. એક રાષ્ટ્રની શક્તિ તેની આત્મનિર્ભરતા પર અવલંબિત હોય છે. બીજા પાસેથી ઉધાર મેળવીને કે પરાવલંબી બનીને નહીં. આત્મનિર્ભર દેશ જ વિશ્વના ફલક પર સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરી શકે. માટે જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ આત્મનિર્ભર ભારતનો છે તેવું નખત્રાણા તાલુકાના પ્રવાસે લોકસભા કચ્છ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું. શ્રી ચાવડાએ વધુમાં જણાવ્યું કે, દેશના વિકાસમાં ઊભા થયેલા પડકારોનો સામનો કરી, પરાવલંબી માનસિકતાનો ત્યાગ કરી સ્વદેશી, સ્વાવલંબી અને સક્ષમ બનવા તરફનો નવસર્જનનો માર્ગ 2014માં કંડારાયો. રાષ્ટ્રીયતાની વિચારસરણીવાળી સરકારની રચના પછી અનેક ક્ષેત્રે અદ્ભુત પરિવર્તન આવ્યા છે. મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન વર્લ્ડ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, વોકલ ફોર લોકલ, સંરક્ષણ નીતિ, આર્થિક નીતિ, ઊર્જા નીતિ, શિક્ષણ નીતિ, કૃષિ નીતિ દરેક ક્ષેત્રે નવી પોલિસી થકી સ્વનિર્ભર બનાવવા આત્મનિર્ભર ભારતના મજબૂત પાયાના નિર્માણ માટે આપણે ફિર એક બાર મોદી સરકારને લાવવાની છે, કમળના બટનને દબાવી ભા.જ.પ.ને વિજય બનાવવાની અપીલ કરી હતી. ઉમેદવાર વિનોદભાઈએ નખત્રાણા તા.ના રસલિયા, ઘડાણી, રવાપર, દેશલપર અને નેત્રા ગામના ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ અબડાસા તાલુકાના ગુડથર ગામે મતિયાદેવ દાદાનાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત પરંપરાગત મેળા પ્રસંગે હાજરી આપી હતી. આ ચૂંટણી પ્રવાસ દરમ્યાન ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભા.જ.પ મંત્રી પ્રફુલ્લાસિંહ જાડેજા, નખત્રાણા તા.પં.ના પ્રમુખ ભાવનાબેન પટેલ, ઉ.પ્ર. દક્ષાબેન ઠક્કર, કારોબારી ચેરમેન ઉત્પલાસિંહ જાડેજા, આરોગ્ય સમિતિ ચેરમેન રાજેન્દ્રાસિંહ જાડેજા, અબડાસા વિધાનસભા સંયોજક લાલજીભાઈ રામાણી, સરપંચ સંગઠનના પ્રમુખ બહાદુરાસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા ભાજપના હોદ્દેદારો, પાર્ટી આગેવાનો સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા તેવું પક્ષની યાદીમાં જણાવાયું હતું.