ગાંધીધામ, તા. 16 : દીનદયાલ પોર્ટના ચેરમેનનો પ્રતિનિયુક્તિનો કાર્યકાળ પૂર્ણ થતાં અધિકારીઓ, કામદાર સંગઠનો અને શહેરની પાયાની સંસ્થા દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું. આજે તેમનો કાર્યકાળ પૂરો થતા કર્મચારીઓ દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું. ચેરમેન એસ.કે. મેહતાની ચેરમેન તરીકેની મુદત પૂરી થતા વનતંત્રમાં પી.સી.સી.એફ. તરીકે કામગીરી સંભાળશે. આજે સાંજે પોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓએ વિદાય આપી હતી. અધ્યક્ષ શ્રી મેહતાએ પોર્ટના વિકાસને આગળ ધપાવવા માટે ટીમવર્ક સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો. શહેરની પાયાની સંસ્થા સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા વિદાયમાન સમારોહ યોજાયો હતો. એસ.આર.સી.ના ડાયરેકટર નરેશ બુલચંદાણીએ ચેરમેન તરીકેના કાર્યકાળની તેમની ઉપલબ્ધિઓ વિષે વાત કરી ચેરમેન દ્વારા એસ.આર.સી.ના મુદે સમયરૂપ વલણ દાખવીને સાચી લીડરશિપની સમજ આપી હોવાની લાગણી વ્યકત કરી હતી. ડીપીએ ચેરમેને પ્રાસંગિક વકતવ્યમાં 75 વર્ષમાં એસ.આર.સી.એ કરેલી કામગીરીને બીરદાવી ભવિષ્યમાં પણ આ જ પ્રકારે કામગીરી કરવા પ્રયત્નશીલ રહેશે તેવી આશા વ્યકત કરી હતી. એસ.આર.સી.ના ડેપ્યુટી ચેરમેન પ્રેમ લાલવાણીએ આ ગાંધીધામને જંગલમાંથી મંગલમાં ફેરવવા વિષેની એસ.આર.સી.ની કામગીરીની માહિતી આપી હતી. આવનારા સમયમાં પણ એસ.આર.સી. શહેરના વિકાસમાં પ્રતિબધ્ધ રહેશે તેવી ખાત્રી તેમણે આપી હતી. આ કાર્યક્રમમાં ડીપીએના ચીફ એન્જીનીયર રવિન્દ્ર રેડ્ડી, જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણી, એસ.આર.સી.ના ડાયરેકટરો રાજાભાઈ પટેલ, સુરેશ નિહાલાણી, હરેશ કલ્યાણી, નિલેશ પંડયા અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આયોજન ઈન્ચાર્જ?જનરલ મેનેજર દિલીપ કરના અને સીનીયર એકઝીકયુટીવ એન્જીનીયર જયકિશન હેમનાનીએ સંભાળ્યું હતું. કંડલા પોર્ટ કર્મચારી સંઘ દ્વારા વહીવટી કચેરી ખાતે યોજાયેલા સમારોહમાં અધ્યક્ષ શ્રી મેહતાને વિદાયમાન આપવામાં આવ્યું હતું. યુનીયનના પ્રમુખ મોહન આસવાણીએ જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં તેમના કાર્યકાળ દરમ્યાન વિવિધ પ્રગતિશિલ પ્રોજેકટો અમલમાં આવ્યા તેના કારણે દીનદયાલ પોર્ટમાં જંગી મૂડીરોકાણ આવ્યું છે તેમજ ઔદ્યોગિક સંવાદિતા પણ સધાઈ છે અને તેમના કાર્યકાળ દરમ્યાન વહીવટી તંત્ર સામે એક પણ આંદોલન થયું નથી. આ વેળાએ ડી.પી.એ.ના ઉપાધ્યક્ષ નંદીશ શુકલા તેમજ યુનીયનના સભ્યો, મહિલા પાંખના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.