અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં
નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની
ચૂંટણી-પેટાચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજયરથ ફરી વળ્યો હતો. આજે જાહેર થયેલા
પરિણામોમાં રાજ્યના સત્તાધારી પક્ષે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં વિજય વાવટો લહેરાવ્યો
હતો, જ્યારે કોંગ્રેસ પક્ષને ફરી કારમો પરાજય સહન કરવાનો વારો
આવ્યો છે. કુલ 68માંથી 62 નગરપાલિકામાં ભાજપને જીત મળી
હતી, જ્યારે કોંગ્રેસને માત્ર એક તેમજ અપક્ષોનો પાંચમાં
વિજય થયો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા પ્રચંડ બહુમતી સાથે ભાજપને ફાળે ગઇ હતી. ભવ્ય જીત
બાદ કમલમ્માં ઉજવણીનો દોર શરૂ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના વિજયને વધાવતાં
ભાજપનું ગુજરાત સાથે જોડાણ વધુ મજબૂત બન્યાનું જણાવ્યું હતું. પ્રદેશ પ્રમુખ સી.આર.
પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.
નડ્ડાએ અભિનંદન આપ્યા હતા, જ્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ
શક્તિસિંહ ગોહિલે જનાદેશ સ્વીકાર્યો હતો. ગત 16મી ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકની સામાન્ય 66 નગરપાલિકાના 461 વોર્ડની 1844 બેઠકની સામાન્ય, બોટાદ અને વાંકાનેર એમ બે નગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર, ત્રણ તાલુકા પંચાયાતોના 78 વોર્ડની 78 બેઠકો, 91 તાલુકા પંચાયતોની
91 બેઠકો, 21 નગરપાલિકાના
21 વોર્ડની 21 બેઠકો માટે અને 9 જિલ્લા પંચાયતના 9 વોર્ડની 9 બેઠકો ઉપરાંત અમદાવાદ, સુરત, ભાવનગરની 3 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. આ તમામ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કુલ 696 વોર્ડની કુલ 2173 બેઠકો માટેની સામાન્ય, મધ્ય સત્ર અને પેટાચૂંટણીના પરિણામો માટેની મતગણતરી 18મીના બુધવારના સવારથી હાથ ધરાઈ હતી, જેમાં ભાજપનો ભવ્ય ભગવો લહેરાયો હતો. બીજા શબ્દોમાં
કહી શકાય કે, સ્થાનિક સ્વરાજ્યની આ પાયાની ચૂંટણીઓ બાદ ગુજરાતમાં
કોંગ્રેસનું અસ્તિત્વ જ લગભગ નામશેષ થઈ ગયું છે. બલ્કે મુખ્ય વિપક્ષ કોંગ્રેસની સરખામણીમાં
આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અપક્ષોનો દેખાવ સારો રહ્યો
હતો. જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને બોટાદ-વાંકાનેર નગરપાલિકાની
મધ્ય સત્ર ચૂંટણી મળીને કુલ 68 નગરપાલિકાઓમાંથી
62 નગરપાલિકાઓ ભાજપે વટભેર હાંસલ
કરી લીધી છે. રાજ્યના મુખ્ય વિપક્ષ કોંગ્રેસને માત્ર એક સલાયા નગરપાલિકામાં જ બહુમતિ
પ્રાપ્ત થઈ છે. અહીં કોંગ્રેસે 15 અને અન્ય
પક્ષોને 13 બેઠકો મળી છે, જ્યારે આ એક નગરપાલિકામાં ભાજપ ખાતું ખોલાવી
શક્યો નથી. કુતિયાણા અને રાણાવાવમાં સમાજવાદી પાર્ટી, આણંદ જિલ્લાની
આંકવાલ નગરપાલિકામાં ભાજપેન 10, તો અપક્ષોને 14 બેઠકો હાંસલ થઈ છે, એટલે કે આ નગરપાલિકા કોંગ્રેસ સમર્થિત અપક્ષોએ હાંસલ કરી છે. એવી જ રીતે અમદાવાદની
ઘાટલોડિયા ઉપરાંત સુરત અને ભાવનગર મહાનગરપાલિકાની એક-એક મળીને કુલ ત્રણ બેઠકો માટેની
પેટા ચૂંટણીમાં પણ ભાજપને જીત મળી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીઓમાં
ભાજપના ભવ્ય વિજય બાદ ચારેકોર ભાજપના વિજયી ઉમેદવારોની વિજય સરઘસ નીકળ્યા હતા,
જ્યારે કોંગ્રેસની છાવણીમાં સ્વાભાવિક રીતે ભારે સન્નાટો વ્યાપી ગયો
હતો. સામાન્ય રીતે ગુજરાતમાં એમ કહેવાય છે કે, ભાજપ શહેરી વિસ્તારમાં
અને કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારમાં સારું પ્રભુત્વ ધરાવે છે પણ આ વખતે તો ગુજરાત વિધાનસભાની
ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આ ચૂંટણીમાં પણ કોંગ્રેસના ખરાબ પ્રદર્શનથી
ગુજરાતમાં કોંગ્રેસનું નામું નખાઈ ગયું છે, એમ કહેવાઈ રહ્યું
છે. કોંગ્રેસ માટે અત્યંત શરમજનક બાબત તો એ રહી છે કે, મહુધા,
હાલોલ, ભચાઉ, કુતિયાણા,
કરજણ, રાણાવાવ, મહેમદાવાદ,
આંકલાવ, ધરમપુર, કોડીનાર,
ખેડા, ઓડ, ઝાલોદ,
જામજોધપુર, બાંટવા, ચલાલા, જાફરાબાદ,
ડાકોર, દ્વારકા અને રાજુલા જેવી 22 જેટલી નગરપાલિકાઓમાં કોંગ્રેસ
ખાતું-સુદ્ધાં ખોલાવી શકી નથી. એ તો ઠીક પણ માણસા,
છોટા ઉદેપુર, તલોદ, ચકલાસી,
વલસાડ અને હળવદ જેવી નગરપાલિકાઓમાં કોંગ્રેસને માત્ર એક-એક જ બેઠકો મળી
છે.