ચેન્નાઇ, તા. 7 : પત્રકારોને અંગત માહિતી જાહેર
કરવા દબાણ ન કરી શકાય. આ સંપૂર્ણપણે વાણી સ્વતંત્રતા વિરુદ્ધ છે, તેવું મદ્રાસ હાઇકોર્ટે નિર્ણય આપતા જણાવ્યું
હતું. કેસની સુનાવણી દરમ્યાન જસ્ટિસ જી.કે. ઇલાન્થિરાયને આ કડક ટિપ્પણી કરી હતી. અન્ના
યુનિવર્સિટી ખાતે 23મી ડિસેમ્બરે
એક એન્જિનીયરીંગ છાત્રાનું યુનિવર્સિટી કેમ્પસ પાસે બિરયાની વેચતી 37 વર્ષીય વ્યક્તિ દ્વારા યૌન
શોષણ કરાયું હતું. વિદ્યાર્થિનીએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરતાં શરૂઆતમાં કેસને હળવાશથી
લેતાં કોઇ કાર્યવાહી કરાઇ ન હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર મામલો ઉછળતા પોલીસે આરોપીની
ધરપકડ કરી હતી. એસઆઇટી દ્વારા તપાસ દરમ્યાન એજન્સીએ ઘણા પત્રકારોને સમન્સ મોકલ્યા હતા
અને 50થી વધુ પ્રશ્ન પૂછયા હતા, જેમાં ઘણા અંગત પ્રશ્નો પણ પૂછાયા હતા. અને
પત્રકારોને એવી પણ ધમકી અપાઇ હતી કે, જો તેઓ સમાચારોના ક્રીનશોટ
નહીં આપે, તો તેમના મોબાઇલ ફોન જપ્ત કરી લેશું. જસ્ટિસ જી.કે.
ઇલાન્થિરાયને જણાવ્યું હતું કે, પત્રકારો પાસેથી અંગત માહિતી
મેળવવાનો પ્રયાસ એ માત્ર ત્રાસ સિવાય કશું નથી. આ પ્રેસ કાઉન્સિલ એક્ટ કલમ 15 (2)નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પ્રેસ
સ્વતંત્રતા અને ગોપનીયતા બંને એક બીજાથી જોડાયેલી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું
કે, અંગત પ્રશ્નો પૂછવામાં આવે તે ગોપનીયતાના અધિકારનું
સીધું ઉલ્લંઘન છે. કોર્ટે સ્વીકાર્યું હતું કે, એસઆઇટી પત્રકારોને
અંગત પ્રશ્નો પૂછીને તેના અધિકાર ક્ષેત્રની બહાર ગઇ છે. સુપ્રીમ કોર્ટે ગોપનીયતાના
અધિકારે મૂળભૂત અધિકાર જાહેર કર્યા છે અને આ નિર્ણય નવ જજની બેંચે સર્વ સંમતિથી આપ્યો
હોવાનું જણાવ્યું હતું.