દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધતી જાય છે. ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સે નિમણૂક સમયે નિયમોના કથિત ઉલ્લંઘન બદલ અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરી વિભવકુમારને બરતરફ કર્યા છે. તેમની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે, જ્યારે સીબીઆઈએ દિલ્હીના શરાબ કૌભાંડથી સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતાની ધરપકડ કરી છે. તેલંગાણાના પૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવનાં પુત્રી કવિતાની ઈડીએ ધરપકડ કરી હતી, ત્યારથી તેઓ જેલમાં છે. કવિતાના કનેક્શન કેજરીવાલ સાથે જોડાયેલા હોવાની ભારોભાર શક્યતા છે. કેજરીવાલ પર સીબીઆઈનો ડોળો આ કનેક્શનના કારણે જ હોય તો નવાઈ નહીં. દરમ્યાન કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત મળી નથી. મહિનાના આખરમાં રિમાન્ડ પર સુનાવણી થશે. આ અગાઉ દિલ્હી સરકારના સમાજકલ્યાણ પ્રધાન રાજકુમાર આનંદે પક્ષ પર થઈ રહેલા આરોપોની પાર્શ્વભૂમિકા પર પ્રધાનપદ તેમ જ પક્ષ સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. બે જ અઠવાડિયાં પહેલાં પંજાબના જાલંધરના સાંસદ સુશીલકુમાર રિન્કુ અને પક્ષના એક વિધાનસભ્યએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. પક્ષના ઘણા નેતાઓને `ઈડી' દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. કેજરીવાલની ગેરહાજરીમાં કિલ્લો બચાવનારા નાણાપ્રધાન અતિષિ અને સૌરભ ભારદ્વાજ, સાંસદ રાઘવ ચઢ્ઢા અને વધુ એક વિધાનસભ્ય નિશાન ઉપર હોવાનું જણાય છે. શરાબ કૌભાંડમાં વધુ એક પ્રધાન કૈલાસ ગેહલોત પર ધરપકડની તલવાર લટકતી હોવાની ચર્ચા છે. આપ છોડી ચૂકેલા આ નેતા રાજકુમાર આનંદનો આરોપ છે કે, આપમાં અનુસૂચિત જાતિ અને જનજાતિઓને પ્રતિનિધિત્વ મળતું નથી. રાજ્યસભામાં પક્ષના 13 સાંસદમાં એક પણ આ વર્ગના નથી. આ રીતે પક્ષે આ વર્ગનું અપમાન કર્યું છે, તે ઉપરાંત જે પક્ષ ભ્રષ્ટાચારની સામેના આંદોલનમાંથી ઉદ્ભવ પામ્યો છે, તે આજે ભ્રષ્ટાચારના કળણમાં છે. આજે તેની પાસે કોઇ નૈતિક તાકાત રહી નથી, એવું તેમનું કહેવું છે. કેજરીવાલ અને આપના અન્ય નેતાઓ વિવિધ આરોપોનો સામનો કરી રહ્યા છે અને જેલમાં બંધ છે. આવી સ્થિતિમાં પક્ષની સામેનો પડકાર ગંભીર બની ગયો છે, તેવામાં અનુસૂચિત જાતિ અને જનજાતિના પક્ષના એકમાત્ર નેતાએ રાજીનામું આપી દેતાં નકારાત્મક છાપ ઊભી થઇ છે અને મુશ્કેલીઓ વધી છે. આ અગાઉ કૌભાંડોના વિવિધ આરોપોને અને તેના સંદર્ભમાં લેવાયેલાં પગલાંને રાજકારણ પ્રેરિત ગણાવતી આ પાર્ટી તેના આ નેતાના આરોપો અંગે કોઇ જવાબ આપી શકે તેમ નથી. સાંસદ રાઘવ ચઢ્ઢા આંખના ઓપરેશન માટે ઈંગ્લેન્ડ ગયા હોવાથી ત્યાંનો મુકામ તેમણે વધાર્યો છે. તેમનો `ચાર્જ' હાલમાં જ જામીન પર છૂટેલા સંજય સિંહે લીધો છે, પણ પક્ષના 10 પૈકી સાત સાંસદ હાલ ખાસ સક્રિય જણાતા નથી. `ઈડી'ની દૃષ્ટિ જલદી પક્ષની સત્તા ધરાવતા પંજાબ ભણી વળી શકે છે, એવો ભય `આપ'ના નેતાઓને છે. `આપ'ની સ્થાપના થઈ, ત્યારે બીજા પક્ષો કરતાં અમારો પક્ષ અલગ હશે, એમ કેજરીવાલે જાહેર કર્યું હતું. પક્ષનો કારભાર પારદર્શક પદ્ધતિથી ચાલશે અને પક્ષમાં સામૂહિક નિર્ણય પ્રક્રિયા હશે, એવી ભૂમિકા રજૂ કરવામાં આવી હતી. પક્ષને `ઝાડુ' ચિહ્ન મળવાથી આ ઝાડુ બધી ગંદકી દૂર કરશે, એવો દાવો પણ કરવામાં આવ્યો હતો. પણ અન્ય પક્ષોમાં જેવા પ્રકાર બની રહ્યા છે, એમ `આપ'ની બાબતમાં પણ થયું છે.