તિરુવનંથપુરમ, તા. 30 : ખિતાબની પ્રબળ
દાવેદાર ટીમ ઇન્ડિયા ટી-20 વિશ્વ કપ
અગાઉના શનિવારે અહીં રમાનારી અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે વધુ એક વિજય સાથે શ્રેણીનો
અંત કરવા માંગશે. ભારતીય ટીમને આશા રહેશે કે સંજુ સેમસન ઘરેલુ દર્શકો સમક્ષ ફોર્મમાં
વાપસી કરશે અને અક્ષર પટેલ ફિટનેસ હાંસલ કરવામાં સફળ રહેશે. વિશાખાપટ્ટનમમાં ચોથી ટી-20 મેચમાં કોચ ગૌતમ ગંભીર અને
કપ્તાન સૂર્યકુમાર યાદવે પ્રયોગ કરીને પાંચ મુખ્ય બોલર પાસે જ બોલિંગ કરાવી હતી અને
ઓલરાઉન્ડર્સ હાર્દિક-શિવમ પાસે બોલિંગ કરાવી ન હતી. આ ઉપરાંત પ્લેઇંગ ઈલેવનમાં એક બેટરની
બાદબાકી કરી હતી. આ મેચ ભારત હારી ગયું હતું. જો કે,
શ્રેણીના પરિણામ પર કોઇ અસર પડી નથી. ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણી પોતાના
ગજવે કરી ચૂકી છે. અંતિમ મેચમાં ભારતીય ઇલેવનમાં ફરી ફેરબદલ જોવા મળી શકે છે. પાછલી
બે મેચમાં વરુણ ચક્રવર્તીને વિશ્રામ અપાયો હતો. તેને મોકો મળશે. અક્ષર પટેલ ફિટ હશે
તો તેની પણ વાપસી થઇ શકે છે. બોલિંગમાં આ સિવાય ફેરફાર સંભવ જણાતા નથી. ઇશાન કિશન ફિટ
હશે તો તેના સમાવેશ પર મનોમંથન થઇ શકે છે. કારણ કે, ટીમ મેનેજમેન્ટ
સેમસનને હોમ ગ્રાઉન્ડ પર ફોર્મ વાપસીનો મોકો આપવાના પક્ષમાં છે. ટી-20 વિશ્વ કપ અગાઉ ભારતનું લક્ષ્ય
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 4-1થી શ્રેણી
વિજયનું છે. જેથી ટીમના મનોબળમાં વધારો થશે. ટીમને તેના બે મુખ્ય બેટર અભિષેક શર્મા
અને કપ્તાન સૂર્યકુમાર પાસેથી આતશી ઇનિંગની આશા રહેશે. જે બંને પાછલી મેચમાં નિષ્ફળ
રહ્યા હતા. બીજી તરફ ન્યૂઝીલેન્ડ ટીમ ચોથી મેચની જીતથી ઉત્સાહિત છે. વિજયક્રમ જાળવી
રાખીને વિશ્વ કપ અગાઉની અંતિમ મેચમાં બાજી મારવા પર કિવીઝ ટીમની પણ નજર છે. અહીંના
ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં ઝડપથી રન બને છે. ભારતીય ટીમે અહીં ચારમાંથી ત્રણ મેચ જીતી
છે. જેમાં 2017ની ન્યૂઝીલેન્ડ સામેની એક મેચ
પણ સામેલ છે. મેચ શનિવારે સાંજે સાત વાગ્યાથી શરૂ થશે.