મુંબઇ, તા. 30 : બે દિવસ પૂર્વે વિમાન દુર્ઘટનામાં
મૃત્યુ પામેલા એનસીપીના વડા અજિત પવારના પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર મહારાષ્ટ્રના
નાયબ મુખ્યમંત્રી બનવા માટે સંમત થઇ ગયા છે અને આવતીકાલે સાંજે શપથ લેશે એમ પક્ષે જણાવ્યું
છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ મંત્રી છગન ભુજબળે જણાવ્યું હતું કે, આવતીકાલે એનસીપી વિધાનસભા પક્ષની બેઠકમાં સુનેત્રાને
નેતા તરીકે ચૂંટવામાં આવશે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસના
નેતા છગન ભુજબળ, પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેએ મુલાકાત કર્યા
બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સુનેત્રા પવાર નાયબ મુખ્યપ્રધાન
બનશે તો તેઓ આ પદ પર પહોંચનારા મહારાષ્ટ્રના પહેલાં મહિલા નેતા બનશે. અજિત પવારના અવસાનને
આજે ચાર દિવસ થયા છે. તેઓ રાજ્ય સરકારમાં મહત્ત્વના પદ પર હતા એટલે વધુ સમય સુધી તેમનું
સ્થાન ખાલી ન રાખી શકાય એટલે તેમની જગ્યાએ પક્ષના નેતાની નિયુક્તિ કરવા માટે આજે વિધાનસભ્યોની
બેઠક થશે. આ બેઠકમાં સુનેત્રા પવારની વિધાનસભ્યના નેતાપદે નિયુક્તિ કરવામાં આવશે. એટલું
જ નહીં તેમની આજે જ તાત્કાલિક નાયબ મુખ્ય પ્રધાનપદે શપથવિધિ કરવામાં આવશે એવું જાણવા
મળ્યું છે. જો કે, અજિત પવારના અવસાનને માત્ર ચાર જ દિવસ થયા
છે એટલે શપથવિધિ ખૂબ જ સાદાઈથી કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અગાઉથી નક્કી
કરાયેલા કાર્યક્રમને આધારે શપથવિધિનો દિવસ અને સમય નક્કી થશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.
અજિત પવાર પાસે નાણાં, નિયોજન, ઉત્પાદન
શુલ્ક જેવા મહત્ત્વના ખાતા હતા એટલે તેમના અવસાન બાદ પણ આ તમામ ખાતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસને
જ મળે એવી માગણી કરાઈ રહી છે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાનપદથી
લઈ તમામ બાબતે સહમતી આપી હોવાનું જાણવા મળ્યું છે.