ભુજ, તા. 30 : માંડવીમાં ધાકધમકીથી ખંડણી
ઉઘરાવવા તથા ખંડણીની રકમ ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં આરોપી કાંતિલાલ
વેલજી સરસિયાએ કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી હતી. આરોપી કાંતિલાલે
પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી જૂની બાબતનું મનદુ:ખ રાખી ફરિયાદી કલ્પેશ પુનશી નંજણને
ખોટા કેસમાં ફસાવી નાખવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી રૂા. 50 હજારની માગણી કરી હતી. આ કેસમાં
આરોપીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવાની અરજી કરી હતી. અદાલતે બંને પક્ષની દલીલ
સાંભળી આરોપીના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. આ કેસમાં આરોપી વતી વકીલ દેવાયત એન.
બારોટ, ખીમરાજ એન. ગઢવીની સાથે ઉમૈર સુમરા,
રામ ગઢવી, રાજેશ ગઢવી, જય
કટુઆ, અંકિત એચ. ભાનુશાલી હાજર રહ્યા હતા. - ગીરો મુક્ત દાવો મંજૂર : માંડવી તાલુકાના મોટી ભાડાઈ ગામની ખેતીની
જમીનના કબજા ગીરો કેસમાં વાદી ગોપાલજી નામોરજીના વારસ રણજિતસિંહ દુજુભા જાડેજા તરફે
ચુકાદો આપી દાવો મંજૂર કરવામાં આવ્યો છે. માંડવીના અધિક સિવિલ જજે આ હુકમ કર્યો હતે.
આ કેસમાં વાદી તરફે વરિષ્ઠ ધારાશાત્રી એસ. ટી. પટેલ અને વિનોદભાઈ વી. મહેશ્વરી સાથે
હીરલ એસ. પટેલ, મુકેશ એન. બોખાણી,
ક્રિષ્ના કે. હરસોરા, મંજીતકૌર કે. ખાઈવાર,
જીનલ કે. શાહ, અર્ચના એ. હીરાણી હાજર રહ્યા હતા.
- ચેક પરતના કેસમાં આરોપી નિર્દોષ
: માંડવી તાલુકાના ઢીંઢ ગામના આરોપી આસિફ
અદ્રેમાન સુમરાએ ફરિયાદી હરિકૃષ્ણ સેલ્સ એજન્સીના પ્રોપરાઈટર રમેશ મનજી હાલાઈ પાસેથી
રૂા. 19,20,000ના ઘઉં ખરીદ્યા હતા, જે પેટે અપાયેલો ચેક પરત ફર્યો હતો. આ કેસમાં
માંડવીની જ્યુડિશિયલ કોર્ટે બંને પક્ષની દલીલો
સાંભળ્યા બાદ આરોપીને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ અલ્તાબગની
એસ. ચાવડા હાજર રહ્યા હતા. - ફોરમનો ગ્રાહક તરફે ચુકાદો : ભુજ તાલુકાના કોડકીના ત્રાયા ઈમરાન ઉમરે
આજીવિકા રળવા વાહન ખરીદી કરવા ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિં.માંથી રૂા. 6,50,000ની લોન લીધી હતી. જે પછી નિયમિત
હપ્તા ભરાતા હતા, પરંતુ કોરોના
મહામારીના કારણે ધંધો પડી ભાંગતાં બાકીની રકમ રૂા. 58,880 ચૂકવાઈ નહોતી, જે બાબતે બેંકને રજૂઆત કરાતાં એક સાથે ચૂકવી
આપવા ધરપત અપાઈ હતી, પરંતુ બેંકના ભાડૂતી માણસો દ્વારા બળજબરીપૂર્વક
વાહન સીઝ કરાયા બાદ વેચી નખાયું હતું. આ મામલે ગ્રાહક સુરક્ષામાં ધા નખાતાં ફોરમે બંને
પક્ષની દલીલ સાંભળી ગ્રાહક તરફે ચુકાદો આપતાં વાસ્તવિક કિંમત અને વેચાણ કિંમતની તફાવતની
રકમ ચુકવવા કંપનીને આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી વકીલ વિશાલ બી. મકવાણા,
સાજિદ આઈ. તુરિયા, ચૂનીલાલ એલ. લોન્ચા,
જે. જે. મહેશ્વરી, મીત એ. ગોહીલ, એમ. એ. કુંભાર, એ. જી. સમેજા અને મમતા આર. વરચંદ હાજર
રહ્યા હતા.