નખત્રાણા, તા. 13 : આ તાલુકા મથકથી 15 કિ.મી.ના અંતરે આવેલી યાત્રાભૂમિ
ધીણોધરનો નિરોણા હાઇવેના અરલ (નાની) ફાટક સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી ધારાસભ્યની
જહેમતથી રિસર્ફેસિંગ કામ શરૂ કરાતાં સ્થાનકે યોજાનારા લોકમેળામાં સૌને ફાયદો થશે. સિદ્ધયોગી
ધોરમનાથ દાદાની તપોભૂમિ ધીણોધરથી ઝાલુ-છારીઢંઢ તરફ જવા માટે અવરજવર કરતા મોટા પ્રમાણમાં
પ્રવાસીઓ તથા માલવાહક વાહનોના ધસારાથી ચારેક વર્ષ પહેલાં બનાવેલા માર્ગની ખરાબ સ્થિતિના
લીધે સ્થાનિકોને પણ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. આ જોખમભરી અને ત્રાસદાયી પરિસ્થિતિ નિવારવા
તાલુકાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા રાજ્યસ્તરે રજૂઆતથી 247.35 લાખની ગ્રાન્ટ મંજૂર થઇ હતી
અને આ કામ હાલ પૂર્ણતાનાં આરે છે. થાન જાગીરના મહંતો યોગી સોમનાથી, યોગી મહેશનાથજી, નાની
અરલ સરપંચ દિલાવરસિંહજી જાડેજાએ રસ્તાનું કામ પૂરું થવા બદલ ધારાસભ્યનો આભાર માન્યો
હતો.