• મંગળવાર, 15 જુલાઈ, 2025

સાડા આઠ દાયકાનું જીવન સેવાને સમર્પિત વાડીલાલ દોશી

જીવનના સાડા આઠ દાયકાની જીવન સફર ખેડી રહેલા અને સેવાના પર્યાય મનાતા વાડીલાલ ભીમજી દોશીને અડધી રાત્રે પણ સહયોગી થવા સાદ પડે, તો સુસ્તી કે આળશ નથી અનુભવ્યા. અત્યાર લગી તેમના પ્રદાનની સાક્ષીરૂપી 16 હજાર જેટલાં છાપાંનાં કટિંગ્સ સ્મૃતિરૂપે સચવાયેલાં છે. સવા સદી પહેલાં રાપર તાલુકાના ફતેહગઢથી દોશી પરિવાર માંડવી આવ્યો ધંધાર્થે.  વાડીલાલભાઈનો જન્મ આઠમી માર્ચ-1939માં એમના મોસાળ બાલાસરમાં થયો. આંકોડીથી એસ.સી.સી સુધીનો અભ્યાસ માંડવીની જી.ટી હાઇસ્કૂલમાં,

* માનવ સેવા, જીવદયા, શિક્ષણ, આરોગ્ય, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે ખેડાણની ધૂન કેમ સવાર થઈ ગઈ ?

પરિવાર સંસ્કાર અને સાધુ ભગવંતોની પ્રેરણા એવમ આશીર્વાદ સવાસો વર્ષ પહેલાં પિતાના ચાર ભાઈ પૈકી જયેષ્ઠ નાનજીભાઈ અને મહાદેવભાઈ ધંધાર્થે એ સમયમાં ધીકતાં આ બંદરીય શહેરમાં આવ્યા. ખભે ગાંસડી ઉપાડી કાપડના ફેરા કરતા પિતા સાથે કાપડના વ્યવસાયમાં જોડાયા એ પહેલાં મહિને 15 પગારથી હંસરાજ અમરશીની દુકાને ચારેક વર્ષ નોકરી કરેલી. એ પછી ગામઠી કાપડનો ધંધો શરૂ કર્યો, મેઘદૂત એમનું પહેલું ધંધાર્થે સુકાન, એ પછી મધુબન નામે કાપડનો શો-રૂમ શરૂ કર્યો, આજે દોશી પરિવારની દસેક દુકાન બજારમાં છે. પિતાનું નાની ઉમરે અવસાન થતાં અને  વેપાર-ધંધાને કારણે ઘેર ભણતરની નોબતના કારણે  હાજરીના અભાવે પરીક્ષા આપવાની `ના' ફરમાવાઈ! ભણી ન શકાયું એ અજંપો આજે પણ સતાવે છે.

* ધંધો, સેવાના ક્ષેત્રે અને  રાજકીય યાત્રા એમ બધું ઘોડેસવારી કેમ સંભવ બનાવી ?

રાજકારણને જિંદગીમાં હંમેશાં સેવાનું માધ્યમ માન્યું અને બનાવ્યું. પૂર્વ મુખ્યમંત્રી અને રાજકીય ક્ષેત્રે મોટું માથું મનાયેલા સુરેશભાઈ મહેતા અને પૂર્વ સાંસદ અનંતભાઈ દવે જેવા મોભીઓ સંગાથે જનસંઘથી ભાજપ સુધીની સફરમાં 17 વર્ષ નગરસેવક, પાલિકાના ઉપપ્રમુખની સેવાઓ આપી. પ્રજા પ્રત્યે તત્પર રહેવાયું. જો કે, પ્રમુખ પદ એકાદ વેંત અછુતું રહ્યું.

* વાડીભાઈ! તમારી સેવા યાત્રાની મહત્ત્વની જાણકારી આપો.

પિતરાઈ ભાઈ વસંતભાઈ દોશીએ (94-95) માંડવી ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના કરી, તે વેળાએ ઉપાધ્યક્ષ અને 97થી ચેમ્બરના પ્રમુખપદે સેવામાં પાછું વળીને જોયું નહીં. અત્યાર લગી રૂા. સાડા છ કરોડનો લીલોચારો ઉનાળામાં દર વર્ષે લગભગ 300 ગાડી ભરીને ગાયોને નીરણ કરાવ્યું કચ્છમાં એ વિક્રમ મનાય છે. 13 વર્ષ વીત્યાં અતૂટ એ સેવા યાત્રાને. આ દરમ્યાન ચેમ્બરને રૂા. 50 લાખના ખર્ચે દાતા નાનજીભાઈ ખીમજી ઠાણાવાળાના મુખ્ય દાનથી હોલ નસીબ કરાવાયો. પ્રથમ  શહેર અને તાલુકા પછી ઓક્સિજન સિલિન્ડર સેટ હવે કચ્છમાં પણ ખાતરી અપાયા પછી વિનામૂલ્યે વિતરણ જારી છે. કોરોનાકાળમાં અનેક પડકારો વચ્ચે કાળી રાત્રે પણ કોઈ ભેદભાવ વિના પ્રાણવાયુ પ્રદાન કરાવાયો એ સંતોષની વાત છે. સામાન્ય રીતે 12 મહિના દરમ્યાન સવાસો-દોઢસો ઓ. સિલિન્ડર સેટ સાથે વિતરણ કરાય છે. આ માટે મહેશભાઈ લાકડાવાળાની મારફતે ડો. વિજય પી. શાહ (અમેરિકા)એ રૂપિયા 20 લાખની સખાવત આપી તે વ્યાજે મૂકી છે. ઓ.સિ. વિતરણ અર્થે કોઈ ડોનેશન કે ડિપોઝિટ લેવામાં આવી નથી, આવતી નથી. ભૂકંપ પછી એ સેવાનો આરંભ કરાયો જે અવિરત છે.

* કઈ સંસ્થાઓમાં રહ્યા ?

જૈનસમાજના પ્રમુખ તરીકે બે દાયકા, લાયન્સ ક્લબના પ્રમુખપદથી ઝોન ચેરમેન, તેરાપંથ સમાજના પ્રમુખ, મર્ચન્ટસ એસો.માં યોગદાન, વાગડ બે ચોવીસી જૈન સમાજમાં કારોબારી સભ્યપદ, માંડવી જૈન સમાજ વા. બે. ચો.માં પ્રમુખપદ, જિલ્લા ભાજપમાં મંત્રીપદે સેવા આપી, નાના-નાના મંડળો સાથે સંકલન અને જીવદયાનાં કાર્યો કર્યાં, બિનકોંગ્રેસી સરકાર વેળા અનંતભાઈ દવે લોકસભામાં સાંસદ ચૂંટાયા પછી તેમની આગેવાનીમાં બેલાથી કોટેશ્વર સુધીની 450 કિ.મી. લાંબી સાઈકલયાત્રામાં પ્રતાપસિંહ જાડેજા, હંસરાજભાઈ ધોળુ, નંદલાલ જોશી વગેરે સંગાથે લોકસંપર્ક, માર્ગમાં આવતાં ગામો સાથે ફરીને લોકોની પરિસ્થિતિ પારખી પ્રજાને પજવતા પ્રશ્નોને વાચા આપવામાં કોઈ કસર નથી રહેવા દીધી, નથી મહાદેવ કાકાના પુત્રો ઝવેરચંદભાઈ (દાદર), લઘુબંધુ અને પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશીના સહપાઠીઓ, વાગડ જૈન સમાજ, પ્રદીપ ભાઈલાલ શાહ (સોપારીવાળા-અમેરિકા) વગેરે દાનના પ્રમુખ સ્રોત રહ્યા છે.

* તમને મળેલા સન્માન વિશે કહેશો

માટુંગા પાખાડીએ 2018માં `જૈનરત્ન' એવોર્ડ એનાયત કરી સન્માન કર્યું હતું. માંડવી વાગડ બે ચોવીસી સમાજની ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, મણિલક્ષ્મી જૈન તીર્થ ખાતે તાજેતરમાં યોજાયેલા પ્રવાસમાં નવા વરાયેલા પ્રમુખ તથા દાતા ભરત ગાંધી અને પરિવારે કચ્છી પાઘડી, સાલ, સન્માનપત્ર વડે યુવક મંડળના પ્રમુખ મિતેશ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં બહુમાન કરેલું, તેઓએ હળવા મૂડમાં કહ્યું કે, દુનિયા કમાય છે, ઘર ભરે છે અને સેવા-પ્રસિદ્ધિમાં પરિવારની આર્થિક ઉન્નતિ ક્ષેત્રે ઘણું રહી  ગયું ! આ સામે પરિવાર સંસ્કાર, સભ્યતા સાથે સંપીલો અને સુશિક્ષિત હોવાનો રાજીપો ઓછો નથી.

Panchang

dd