સાઉથમ્પટન, તા. 12 : નવા કપ્તાન શ્રેયસ
અય્યરનાં નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા સળંગ 6 ટી-20 મેચ હારી છે. પહેલા આયરલેન્ડ સામેની 0-2ની હાર પછી ઇંગ્લેન્ડે ભારતીય ટીમનો 4-0થી સફાયો કર્યો છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી મેચની
હાર બાદ ભારતીય કપ્તાન શ્રેયસ અય્યરે કહ્યું કે તેની ટીમે સકારાત્મક બની રહેવું પડશે.
લોકોની પ્રતિક્રિયાથી પ્રભાવિત થવાથી બચવું પડશે. ઈમાનદારીથી કહું તો આ પરાજયો પચાવવા
મુશ્કેલ છે. મારે માટે કપ્તાની કરવી સન્માનની વાત છે, હારના અનુભવોથી શીખવાનું મળશે અને
ભવિષ્યમાં મને વધુ પરિપક્વ બનાવશે. આ તકે અય્યરે સ્વીકાર્યું કે ટીમ આયરલેન્ડ અને ઇંગ્લેન્ડની
કન્ડિશનમાં એડજેસ્ટ કરવામાં પૂરી રીતે નિષ્ફળ રહી. ટીમની ખરાબ ફિલ્ડિંગનો પણ કપ્તાને
ઉલ્લેખ કરી તેમાં જલ્દીથી સુધારાની વાત કરી હતી.
અંતિમ મેચમાં સૂર્યવંશીને ઇલેવનની બહાર કરવાના નિર્ણય પર કહ્યું કે ટીમ સંયોજન
માટે ફેરફાર થતાં રહે છે. અમે ઈચ્છતા હતા કે અભિષેક સાથે એક જમણેરી બેટર દાવનો પ્રારંભ
કરે. આ માટે સેમસન શ્રેષ્ઠ વિકલ્પ હતો.