ઔદ્યોગિક ક્ષેત્રે
વધતા તાલુકામાં વધુ વળતરની ગણતરીએ બિનખેતીનું પ્રમાણ ઊંચું; ખારેકમાં પણ ઊંચા ભાવ આવશ્યક ઉત્પાદન સારું ; ક્યાંક
સૂકારો, જીવાત, નીલગાયનો ત્રાસ કચ્છ બહારના
વરસાદે મીઠી ખારેકની કમાણી ક્યાંક બગાડી;
જો કે, હજુ ઇઝરાયલી ખારેક મહિનો ચાલશે ખેડૂતોના
મતે દાડમ જેવી મોટી બજાર મુંદરામાં થાય તો ભાવ મળે; નહીં તો ભવિષ્ય
ધૂંધળું
દિવ્યેશ વૈદ્ય દ્વારા
મુંદરા,
તા. 12 : ખાસ કરીને ખારેક
સહિત `બાગાયત હબ' મુંદરા તાલુકો હવે `ઔદ્યોગિક હબ'
બની ગયો છે. કચ્છની મીઠી ખારેકની દેશભરમાં માંગ છે. વિદેશમાં વધુ નિકાસની
પણ ભાવિ સંભાવનાઓ છે, પણ એકબાજુ અહીં જમીન બિનખેતી થઈ રહી છે,
તો બીજીબાજુ અનેક પડકાર વચ્ચે જળસંચય, રિચાર્જ
બોર અને સારા વરસાદથી થોડાં વર્ષોમાં મીઠા પાણીના તળ તો ઊંચા આવ્યા છે, પરંતુ ખેતી લાંબી ટકાવવી હશે, તો ખેડૂતોને ખારેકના યોગ્ય
ભાવ મળવા જરૂરી છે. ગુણવત્તાયુક્ત અને સમાન ખારેકના વધુ ઉત્પાદન આવશ્યક છે. મોટી બજાર, વેપારીઓ સાથે ખેડૂતોને
ઊંચું વળતર મળે એ સમયનો તકાદો છે, તો જ ખારેકનું ભવિષ્ય બહુ સારું
છે. આ વખતે મોસમ મધ્યમ રહી અને કચ્છમાં નહીંવત વરસાદ સામે કચ્છ બહાર વધુ વરસાદે પણ
અલગ-અલગ અસરો કરી. આ સંદર્ભે કચ્છમિત્રએ કેટલાક અગ્રણીઓ અને વૈજ્ઞાનિકો સાથે કરેલી
વાત અહીં મૂકી છે.
મધ્યમ વર્ષ; વડવાગોળનો ત્રાસ
આ વખતે મોસમ મધ્યમ રહી અને કચ્છમાં નહીંવત વરસાદ સામે
કચ્છ બહાર વધુ વરસાદે પણ અલગ-અલગ અસરો કરી. આ સંદર્ભે કચ્છમિત્રએ કેટલાક અગ્રણીઓ અને
વૈજ્ઞાનિકો સાથે કરેલી વાત અહીં મૂકી છે. `ખારેકનો
મુંદરા તાલુકામાં ઉજ્જવળ ઇતિહાસ છે. મોટા વૃક્ષમાં 50-60 વર્ષ સુધી ફાલ ચાલુ રહેતો. 1998ના વાવાઝોડાંમાં ઘણા મોટાં ઝાડ પડી ગયાં. જો કે, આ વખતે ઉત્પાદન બહુ સારું છે. નાની-મોટી
સમસ્યાઓ છે, એમાં એક
વડવાગોળ પક્ષીનો બે-ત્રણ વર્ષથી ત્રાસ વધ્યો છે અને એ નુકસાન કરી રહ્યા છે. પહેલાં
મુંદરામાં ચીકુના બગીચા હતા એ હવે ઓછા થતા ગયા એટલે આ જીવ હવે ખારેક ઉપર તૂટી પડે છે. બીજીબાજુ, નીલગાય પણ ખેતરમાં
આવીને મીઠાં ઝાડને નુકસાન કરે છે, એમ કહેતાં વર્તમાન સ્થિતિ વિશે
વધુમાં ધ્રબના પૂર્વ તલાટી અને ખારેક ખેતીના નિષ્ણાત હુસેનભાઇ તુર્ક ઉમેરે છે કે,
આ વખતનું વર્ષ મધ્યમ પ્રકારનું છે. ફાલ સમયથી વહેલો આવી ગયો છે. હજુ
15 દિવસ સુધી ચાલશે અને ઇઝરાયલ ખાલી મહિના દિવસ સુધી ચાલે
એવી શક્યતા છે. તેઓ સૂચન કરે છે કે,
ખારેકના બજારનો વ્યાપ વધારવો હોય તો અંજાર, ભુજ
જેમ મોટા ગ્રાહકો સાથેની મુંદરામાં પણ વ્યવસ્થા
ગોઠવાય તો ખેડૂતોને વધુ લાભ મળે. જેમ દાડમની ભુજમાં ખાનગી માર્કેટ છે, એવી એક મોટી માર્કેટ મુંદરામાં હોય તો સીધા અહીં જ મોટા કસ્ટમર મળી શકે. બાકી
થોડાં વર્ષોથી વરસાદ સારો છે અને પાણીના તળ ઊંચા આવ્યા છે એટલે મુંદરામાં ખારેકની ખેતી
હજુ સારી છે, પણ જમીનો બિનખેતી થઈ રહી છે, એ ગંભીર છે, કદાચ ભવિષ્યમાં મુંદરાની ખારેકની ખેતીના
પ્રમાણને અસર કરી શકે.
એક જ અને ઊંચી ગુણવત્તા કમાઇ દે
`હવે ગ્રાહકો પૈસા આપવા તૈયાર છે, પણ ખેડૂતોએ ગુણવત્તા અને એક જ પ્રકારની
ખારેક ક્વોલિટી માટે સજાગ રહેવું પડશે. આ ઉપરાંત જેટલી જાતે માર્કાટિંગ કરશો અને સંપર્ક
વધારશો, તો સારા ભાવ મળશે.' એમ કહેવું છે, મુંદરા સ્થિત ખારેક સંશોધન કેન્દ્રના
યુનિટ હેડ ડો. ડી.એ. બૈડિયાવદરાનું. તેમણે
કહ્યું કે, આ વખતની મોસમમાં એક ફેરફાર એ રહ્યો કે સતત વધુ ગરમી
રહી, એનાથી ખારેકના ફાલમાં વધુ તાપમાનથી ક્યાંક આ વખતે બે રૂપાંતર
થયા. ભેજ હતો ત્યાં એ ખજૂર બની ગયું જ્યાં તાપમાન વધુ હતું ત્યાં ફળ સુકાઈ ગયું. એ
વસ્તુ અમારા ખારેકના ફાર્મમાં પણ જોવા મળી. એનાથી કેટલાક ખેડૂતોને પણ નુકસાન થયું છે.
વધુ વરસાદ થાય તો નુકસાન, બાકી એક વરસાદની જરૂર હતી, પણ એ ન થયું. કેટલાક ખેડૂતોએ વાત કર્યા મુજબ તેમના ટેમ્પા ભરીને કેરળ મોકલ્યા,
પણ ત્યાં સુધીમાં ખારેક સુકાઈ ગઈ. જો કે, સારા
કમાણીવાળાના પણ ઘણા દાખલા છે, પણ એ ખારેકની ગુણવત્તા એક જ પ્રકારની અને શ્રેષ્ઠ હોવી
જરૂરી છે. હવે સમય છે કે ખેડૂતો વધુમાં વધુ છૂટક વહેંચે તો તેમને ફાયદો થાય.
ખેતી લાંબી ટકાવવા ભાવ જરૂરી
`જો આ જ ભાવ ખેડૂતોને મળતા રહેશે તો ખારેકનું ભવિષ્ય
ધૂંધળું છે,' એવી ચેતવણી
આપે છે તાલુકાના અગ્રણી ખેડૂત વિરમભાઈ સાંખરા. તેઓ કહે છે કે, ઉત્પાદન તો દર વર્ષ જેમ યથાવત્ જ રહ્યું અને સારી બાબત એ રહી કે વરસાદ ન હોવાથી
બગાડ પણ ઓછો થયો, પણ
મોટો પ્રશ્ન ભાવનો છે. 20 વર્ષથી ખારેકના એ જ ભાવ મળે છે. વેપારીઓ જ મોટો નફો
લે છે. એ માટે જેમ તલાલામાં આંબાની હરાજી થાય છે, તેમ મુંદરા ખારેકનું હબ છે અને અહીં એપીએમસી, સરકાર અથવા તો કોઈ સંસ્થા દ્વારા
હરાજીની ગોઠવણી કરવી જોઈએ. ખેડૂતોને સારા ભાવ માટે અંજાર, અંજાર, રાજકોટ, મુંબઈ
દક્ષિણ ભારત સુધી જવું પડે છે.
વરસાદથી નુકસાની; કથીરી જીવાત
`ખારેકની આવકની સિઝન સારી રહી આગોતરો ભારે વરસાદ આ વખતે
ન આવતાં ફાલ ન બગડયો, પરંતુ મુંબઈ, સુરત, સૌરાષ્ટ્રમાં
ભારે વરસાદથી ગાડીઓ ભરાઈને જતો પુરવઠો અટક્યો અને ખારેક બગડતાં ખેડૂતોને કે ક્યાંક
વેપારીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.' એમ કહે છે મુંદરા તાલુકાના
સાડાઉ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત નિષ્ણાત જયદીપ ગોસ્વામી. સતત ખેડૂતોના સંપર્કમાં
રહેતા આ વૈજ્ઞાનિક ઉમેરે છે કે, ખાસ કરીને મુંદરા તાલુકામાં છેલ્લા
ચાર-પાંચ વર્ષથી કથીરી નામની જીવાત ફળની ગુણવત્તા નબળી પડી રહી હોવાની ફરિયાદ આવી છે.
આ સિવાય ખેડૂતો ખારેકના પાન ઉપર વધતા પ્રદૂષણની પણ અસર થતી હોવાની અવારનવાર રાવ વ્યક્ત
કરે છે. જેના લીધે વર્ષમાં એકવારને બદલે ચાર- પાંચ વખત કટિંગ કરવી પડે છે. ખારેકના
ભાવના પ્રશ્ન પર તેમણે ઉમેર્યું કે, ખેડૂતો આખા બગીચાને બદલે
ખારેકની ગુણવત્તા પ્રમાણે અલગ-અલગ તારવીને વેચે તો વધુ ભાવ મળે. બાકી ગ્લોબલ વોર્મિંગના
સમયમાં હવે મોસમ પ્રમાણે ફળનો સમય નિશ્ચિત નથી રહ્યો, એ સ્વીકારવું
પડશે. કેરી અને ખારેક એક જ સમયે બજારમાં વેચાઈ રહ્યા હતા, એ તાજો
દાખલો છે, પણ એમાં ખેડૂતોને ફાયદો થવો જોઈએ એ મહત્ત્વનું છે.