નવી દિલ્હી, તા. 7 : ભારતીય
મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ગાયક પલાશ મુછાલના લગ્નને લઈને ફેલાયેલી અનેક
અટકળો વચ્ચે લગ્ન રદ થયા અંગે બંને જણાએ સોશિયલ મીડિયામાં માહિતી આપી હતી. સ્મૃતિએ
લખ્યું હતું કે, આ મામલો અહીં જ પૂરો કરવા માગું છું, તો પલાશે પણ
લખ્યું હતું કે, આ મારા માટે કપરો સમય છે. તે ઉપરાંત બંનેએ
સોશિયલ મીડિયામાં એકબીજાને અનફોલો કરી લીધા છે. એક મીડિયા હેવાલ મુજબ, સ્મૃતિએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, છેલ્લા
કેટલાક સપ્તાહથી મારા અંગત જીવન વિશે ઘણી અટકળો લગાવાઈ રહી છે. હું ખૂબ અંગત જીવન
જીવવાવાળી વ્યક્તિ છું, પરંતુ એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે,
લગ્ન હવે કેન્સલ થઈ ગયા છે. આ મામલાને અહીં જ ખતમ કરવો જરૂરી છે.
લોકોને અપીલ છે કે, આ વિષયને આગળ ન વધારે. તો બીજી બાજુ
પલાશે પણ ઈન્સટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, મેં જીવનમાં
આગળ વધવા માગું છું. મારા માટે આ સમય મુશ્કેલીભર્યો છે. લોકો કોઈ આધાર વિનાની
અફવાઓ પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જે બાબત મારા માટે પવિત્ર હતી, તેના પર જ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે તે ખૂબ દુ:ખદ છે. નોંધનીય છે કે,
ગત 23 નવેમ્બરે સ્મૃતિ મંધાના અને પલાશ
મુછાલના લગ્ન થવાના હતા, પરંતુ લગ્નના એક દિવસ પહેલાં જ સ્મૃતિના પિતાની તબીયત લથડી પડતાં તથા પલાશ
અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા હેવાલોના કારણે લગ્ન મુલતવી રહ્યા હતા. જે પછી
રવિવારે બંનેએ લગ્ન રદ કર્યા હોવાની ઘોષણા કરી હતી.