નવી દિલ્હી, તા. 22 : રણજી ટ્રોફીનો બીજો તબક્કો ગુરુવારના 23 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આ તબક્કો એટલે પણ ખાસ છે કારણ કે આ વખતે ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રિષભ પંત જેવા સ્ટાર ખેલાડીઓ પણ રમતા જોવા મળશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટીમ ઇન્ડિયાનાં ખરાબ પ્રદર્શન બાદ બીસીસીઆઇએ રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ માટે ઘરેલુ ટૂર્નામેન્ટમાં રમવું અનિવાર્ય કરી દીધું છે. માત્ર ફિટ ન હોવાની સ્થિતિમાં જ ખેલાડી ઘરેલુ ટૂર્નામેન્ટથી દૂર રહી શકશે. આ જ કારણથી ટોચના ખેલાડીઓ રણજીમાં રમતા જોવા મળશે. મુંબઈની ટીમમાં રોહિત શર્માની વાપસી થઈ રહી છે. રોહિત શર્મા અંદાજિત 10 વર્ષ બાદ રણજી રમશે. તેણે અંતિમ વખત 2015મા રણજી ટ્રોફી રમી હતી. મુંબઈની ટીમમાં યશસ્વી જયસ્વાલ પણ જોવા મળશે. આ ઉપરાંત શ્રેયસ અય્યર, અજિંક્ય રહાણે, શિવમ દુબે અને શાર્દુલ ઠાકુર પણ મુંબઈની ટીમમાં છે.સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી દિલ્હી તરફથી મેદાનમાં ઉતરશે. ઈજાના કારણે કોહલી 23 જાન્યુઆરીથી શરૂ થનારી મેચમાં રમશે નહીં પણ 30 જાન્યુઆરીથી ગ્રુપ તબક્કાના અંતિમ દોરના મેચમાં રમશે. કોહલી ઉપરાંત પંત પણ દિલ્હીની ટીમમાં છે. કોહલી 12 વર્ષ બાદ અને પંત સાત વર્ષ બાદ રણજીમાં વાપસી કરી રહ્યા છે.સૌરાષ્ટ્રની ટીમમાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા છે. જાડેજા બે વર્ષ બાદ રણજી ટ્રોફીમાં ઉતર્યો છે. આ સાથે ટીમમાં દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા પણ સામેલ રહેશે.ભારતીય ટીમનો યુવા ખેલાડી શુભમન ગિલ પણ રણજી ટ્રોફી રમશે. ગિલ પંજાબની ટીમનો હિસ્સો છે. કર્ણાટકની ટીમમાં પણ ભારતની રાષ્ટ્રીય ટીમમાંથી બે ખેલાડી વાપસી કરી રહ્યા છે. દેવદત્ત પડીક્કલ અને પ્રસિદ્ધ કૃષ્ણા બોર્ડર ગાવસ્કર ટ્રોફીનાં કારણે પહેલી સીઝનમાં રમી શક્યા નહોતા. હવે બીજી સીઝનમાં વાપસી કરી રહ્યા છે.