મુંબઇ, તા.4 : પાકિસ્તાન અને દુબઇની ધરતી પર હાઇબ્રિડ મોડલ પર રમાનારી આઇસીસી
ચેમ્પિયન્સ ટ્રોફીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. જેનો પ્રારંભ 19 ફેબ્રુઆરીથી થવાનો છે. ભારતીય
ટીમ તેની પહેલી મેચ દુબઇમાં 20 ફેબ્રુઆરીએ
બાંગલાદેશ વિરુદ્ધ રમવાની છે. આઇસીસીની આ મિનિ વિશ્વ કપ સમાન વન ડે ટૂર્નામેન્ટમાં
ટીમ ઇન્ડિયાનો પ્રીમિયર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ રમશે કે નહીં તે નિશ્ચિત નથી. ઓસ્ટ્રેલિયા
સામેના આખરી ટેસ્ટ દરમિયાન તે ઇજાગ્રસ્ત થયો હતો અને તે હજુ પીઠની પીડામાંથી બહાર આવી
શકયો નથી. ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં
તો બુમરાહ સામેલ છે. તે હાલ બેંગ્લુરુ સ્થિત એનસીએમાં છે. બુમરાહની ઇજાને ત્યાં આકલન
થશે અને સ્કેન રિપોર્ટ બાદ બીસીસીઆઇની મેડિકલ ટીમ તેની ફિટનેસ અંગેનો રીપોર્ટ બુધવારે
પસંદગી સમિતિના ચેરમેન અજીત અગરકરને સોંપશે. ઇંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણીની ત્રીજી
મેચમાં બુમરાહ રમવાનો હતો, પણ તે સંભાવના
હવે સમાપ્ત થઇ ચૂકી છે. ઇંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણીમાં બેકઅપ ઝડપી બોલર હર્ષિત રાણા
ભારતીય ટીમ સાથે જોડાઈ ગયો છે. જો બુમરાહ ફિટ નહીં થાય તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના
સ્થાને હર્ષિત રાણા, મોહમ્મદ સિરાઝ, પ્રસિદ્ધ
કૃષ્ણા, મુકેશકુમાર અને આવેશ ખાનમાંથી કોઇ એકન તક મળશે.