અંજાર, તા. 15 : અહીંની નગરપાલિકામાં વાહન પાર્કિંગ મુદ્દે પાલિકાના સત્તાધીશો દ્વારા બેવડી નીતિ અપનાવાતી હોવાની નારાજગી સાથે નાગરિકોએ આક્ષેપો કર્યા હતા. શહેરની સુધરાઈમાં જુદા-જુદા કામો માટે અનેક અરજદારો આવતા હોય છે. આ અરજદારોને વાહન પાર્કિંગ માટે દૂર દૂર વાહનો ઊભા રાખવામાં આવે છે. જેથી વરિષ્ઠ નાગરિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. નાગરિકોએ ફરિયાદ કરતાં કહ્યંy હતું કે, નવા પ્રમુખ અને કારોબારી ચેરમેન દ્વારા આ પ્રકારના દૂર વાહન પાર્કિંગ માટે મૌખિક આદેશ અપાયા હોવાની તેની અમલવારી કરવામાં આવી રહી છે. આ પ્રકારના નિયમની અમલવારીનો દંડ માત્ર નાના અરજદારો ઉપર પછાડવામાં આવતો હોવાનો ગણગણાટ ઊઠ્યો હતો. આજે બપોરે નો પાર્કિંગનું બોર્ડ હોવા છતાં સુધરાઈના મુખ્ય દરવાજા પાસે એક વાહન ઊભું રાખવામાં આવ્યું હતું. આ વાહનમાં પાલિકાના મુખ્ય અધિકારી આવ્યા હોવાથી આ પ્રકારના નિયમોની અનદેખી કરાઈ હોવાની આક્ષેપ ભરી ચર્ચા સાંભળવા મળી હતી. વાહન પાર્કિંગ મુદ્દે એક્શન મોડમાં આવેલા પદાધિકારીઓ -કર્મચારીઓની બાયોમેટ્રિકથી હાજરી તથા આવશ્યક મુદ્દા ઉપર કયારે આ પ્રકારના કડક આદેશ આપશે, તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.