નવી દિલ્હી, તા. 25 : કેન્દ્ર
સરકારે બુધવારે અફવાઓથી ઉચાટને ટાળવા માટે જણાવ્યું હતું કે, આપણી પાસે તેલનો પૂરતો
ભંડાર ઉપલબ્ધ છે અને દેશના કોઇપણ પંપ પર પેટ્રોલ-ડીઝલની કોઇ જ અછત નથી.
પેટ્રોલપંપોને પુરવઠો પૂરો પાડતાં ટર્મિનલો પર પણ ઇંધણોનો પૂરતો સંગ્રહ છે,
તેવી ધરપત સરકારે આપી હતી. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ
સુજાતા શર્માએ લોકોને અફવાઓ પર ભરોસો ન કરવા અને ગભરાટમાં પેટ્રોલ-ડીઝલ માટે દોટ
નહીં મૂકવા અપીલ કરી હતી. સુજાતાએ એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલની ઘરેલુ કિંમતોમાં કોઇ જાતનો વધારો થયો નથી. દેશના અનેક
ગામોમાં પંપો પર લાંબી કતારો લાગી હતી. ત્યારે આમ પરેશાન નહીં થવાની ભલામણ સાથે તેમણે કહ્યું હતું કે,
દેશ પાસે વાર્ષિક 26 કરોડ ટન તેલ રિફાઇન કરવાની તાકાત
છે. દરમ્યાન પેટ્રોલિયમ મંત્રાલયનના સંયુક્ત સચિવે કહ્યું હતું કે, છેલ્લા 25 દિવસમાં
લગભગ અઢી લાખ નવા પીએનજી જોડાણ અપાયાં છે. આમ, ગેસની પણ અછત નથી. એ સિવાય 35 દિવસ
બાદ ગેસ બૂકિંગ થશે તેવી વાતને પણ ખોટી લેખાવતાં સુજાતાએ સ્પષ્ટ કર્યું હતું કે, 25 દિવસ બાદ જ નવો બાટલો બૂક થશે.