• ગુરુવાર, 26 માર્ચ, 2026

સંગ્રહખોરો સામે `એસ્મા' હેઠળ કાર્યવાહી થશે

અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત વિધાનસભામાં આજે ઇંધણ અને રાંધણ ગેસની સ્થિતિ મુદ્દે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે ગૃહમાં ખાતરી આપી છે કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અછતની વાતો માત્ર અફવા છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે જાણી જોઈને કૃત્રિમ અછત ઊભી કરનારા કે સંગ્રહખોરી કરનારા તત્વો સામે સરકાર અત્યંત કડક વલણ અપનાવશે અને જરૂર પડ્યે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 (એસ્મા) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં આ બાબતે તપાસ કરીને જરૂરી પગલાં પણ ભરવામાં આવ્યા છે. વિધાનસભામાં નિયમ-116 હેઠળ સંબોધન કરતાં મંત્રીએ જણાવ્યું કે, ભારતની કુલ રિગેસિફિકેશન ક્ષમતાના 62% હિસ્સો માત્ર ગુજરાત પાસે છે. રાજ્યમાં 1,073 ઈગઋ સ્ટેશનો અને 37 લાખથી વધુ ઘરોમાં કનેક્શન કાર્યરત છે. કેન્દ્ર સરકારના માર્ચ 2026ના ગેઝેટ મુજબ, સામાન્ય જનતાને મળતા ગેસને પ્રાથમિકતા-1માં રાખવામાં આવ્યો છે. જેથી પુરવઠામાં કોઈ વિક્ષેપ નહીં પડે. છેલ્લા બે દિવસમાં સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓના કારણે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. સામાન્ય રીતે જે પંપ પર દિવસનું 2500 લીટર વેચાણ થતું હતું, ત્યાં અચાનક 10 હજાર લીટર સુધીનું વેચાણ પહોંચી ગયું છે. લોકોમાં ફેલાયેલા ડરને કારણે ઈંધણનું વેચાણ 4 થી 5 ગણું વધી ગયું છે. મંત્રીએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં પણ સરકારે બફર સ્ટોકમાંથી જથ્થો પૂરો પાડ્યો છે, જે સાબિત કરે છે કે રાજ્ય પાસે ઇંધણની કોઈ કમી નથી. હાલ ઓઈલ માર્કાટિંગ કંપનીઓ સાથે સતત સંકલન જાળવી રાખવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા સરકારે 23 માર્ચ 2026 ના રોજ પરિપત્ર જાહેર કર્યો છે. પેટ્રોલ-ડીઝલનું વેચાણ મુખ્યત્વે વાહનોની ટાંકી પૂરતું જ સીમિત રખાશે. ખેતી અને મોબાઇલ ટાવર માટે નિયત મર્યાદામાં જ બેરલ દ્વારા ઇંધણ લઈ જવાની છૂટ મળશે. કૃત્રિમ અછત ઊભી કરનારા વિક્રેતાઓ સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 હેઠળ કડક કાર્યવાહી કરાશે. સરકારના આ નિવેદન સામે વિપક્ષી નેતાઓએ અનેક રજૂઆતો કરી હતી. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ સુરતના ઉદ્યોગોમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની હિજરતનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત આપ નેતા ગોપાલ ઇટાલિયા જનતાને સરકારના આશ્વાસન પર વિશ્વાસ ન હોવાની વાત કરી હતી. કોંગ્રેસી નેતા અમિત ચાવડાએ હોટેલો અને ઙઋ જેવા સ્થળોએ લોકોને પડતી તકલીફનો મુદ્દો ઉઠાવી, સરકાર પાસે બફર સ્ટોકની વિગતો જાહેર કરવાની માંગ કરી હતી.તો કોંગ્રેસના ઉપનેતા શૈલેષભાઈ પરમારે પેટ્રોલ પંપો પર લિમિટેડ જથ્થો આપવા બાબતે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે આજે પણ ટુ-વ્હીલરમાં 300 રૂપિયા અને ફોર-વ્હીલરમાં 2 થી 3 હજાર રૂપિયાથી વધુનું ઇંધણ આપવામાં આવતું નથી. જો પૂરતો જથ્થો હોય તો શા માટે આવી મર્યાદા રાખવામાં આવે છે તેવો પ્રશ્ન તેમણે સરકારને પૂછ્યો હતો. આ બાબતે સરકારે જણાવ્યું છે કે અચાનક વધેલી માંગને પહોંચી વળવા અને વ્યવસ્થા જાળવવા માટે પંપ સંચાલકો આ પ્રકારે કાર્ય કરી રહ્યા હોઈ શકે છે, પરંતુ જથ્થાની કોઈ વાસ્તવિક અછત નથી.

Panchang

dd