અમદાવાદ, તા. 7 : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં
મહાકુંભ ચાલી રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતા સંગમમાં પવિત્ર
સ્નાન કરી ચૂક્યા છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં પહોંચ્યા
હતા. તેમણે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન
કરવા સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા. મહત્વનું છે કે, કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થા કેન્દ્ર પ્રયાગરાજમાં
યોજાયેલા મહાકુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે
છે. ગુજરાતના યાત્રાળુઓ માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઉભા કરવામાં આવેલા ગુજરાત
પેવેલીયનની મુલાકાત પણ મુખ્યમંત્રીએ લીધી હતી.
મુખ્યમંત્રીએ આજે સવારે પ્રયાગરાજ પહોંચીને સૌ પ્રથમ બડે હનુમાનજી મંદિરમાં
પૂજન, દર્શન અને આરતી
કરી સૌના સુખ સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના માર્ગદર્શનમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વની સરકારે
મહાકુંભમાં યાત્રીઓ માટે કરેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને સફાઈ-સ્વચ્છતાનું
ધ્યાન રાખવા સાથે કુંભ સ્નાન માટેની વ્યવસ્થા વખાણી હતી.