દુબઇ, તા.12 : ચેમ્પિયન્સ ટ્રોફીની જીત બાદ
આઇસીસી વન ડે ક્રમાંકમાં ભારતીય ખેલાડીઓને ફાયદો થયો છે. કપ્તાન રોહિત શર્મા બેટિંગ
ક્રમાંકમાં ત્રીજા સ્થાને પહોંચ્યો છે જ્યારે યુવા ઓપનર શુભમન ગિલ ટોચ પર યથાવત છે.
ફાઇનલમાં 76 રનની ઇનિંગ્સને લીધે રોહિતને
બે ક્રમનો ફાયદો થયો છે. આથી તેણે સાથી ખેલાડી વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાના આક્રમક
મીડલઓર્ડર બેટર હેનરિક કલાસેનને પાછળ રાખી દીધા છે. રોહિતના ખાતામાં 7પ6 રેટિંગ પોઇન્ટ છે. કોહલી
નવી સૂચિમાં પાંચમા નંબરે ખસી ગયો છે. બોલરોના ક્રમાંકમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવને
ત્રણ અને કિવિઝ કપ્તાન મિચેલ સેંટનરને 6 સ્થાનનો ફાયદો થયો છે. કુલદીપ ત્રીજા અને સેંટનર બીજા ક્રમે
આવી ગયા છે. રવીન્દ્ર જાડેજાએ ફરી ટોપ ટેનમાં એન્ટ્રી કરી છે. તે 13માથી 10મા નંબરે આવી ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની નિષ્ફળતા છતાં પાક.
બેટર બાબર આઝમ 770 રેટિંગ સાથે બીજા સ્થાને યથાવત
છે. ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલને એક સ્થાનનો ફાયદો થયો છે. તે 721 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તરફથી સૌથી વધુ રન કરનાર શ્રેયસ અય્યર આઠમા ક્રમે યથાવત
છે. ઓલરાઉન્ડર્સ ક્રમાંકમાં રવીન્દ્ર જાડેજા 10મા નંબર પર છે. આઇસીસી
વન ડે બેટિંગ ક્રમાંકમાં ટોપ ટેનમાં ભારતના ચાર બેટર છે. જેમાં શુભમન, રોહિત, વિરાટ અને શ્રેયસ
છે જ્યારે ટોપ ટેન બોલરોમાં ભારતના બે સ્પિનર કુલદીપ અને જાડેજા સામેલ છે. ચેમ્પિયન્સ
ટ્રોફીમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી 96મા ક્રમાંક પર છે.