મુંબઇ, તા. 24 : મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં
સેનાની હથિયયાર ફેકટરીમાં શુક્રવારની સવારે સાડા દશ વાગ્યે ભયાનક ધડાકો થતાં આઠ લોકોનાં
મોત થઇ ગયાં હતાં, તો અન્ય સાત
ગંભીર હદે ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પાંચ કિલોમીટર સુધી અવાજ સંભળાયો
હતો. આઠ કલાક સુધી બચાવ-રાહત અભિયાન ચાલ્યું હતું. ફેકટરીની છત ધરાયશી થઇ ગઇ હતી,
જેમાં 14 લોકો ફસાયા
હતા, રાહત, બચાવ અભિયાન છેડાયું
હતું અને તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા. ધડાકા બાદ લોખંડ અને પથ્થરના
ટૂકડા દૂર-દૂર સુધી વિખેરાયેલા જોવા મળ્યા હતા. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઘટના
પર દુ:ખ વ્યક્ત કરતાં મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના સાથે જણાવ્યું હતું કે,
અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવાના પ્રયાસ જારી છે. કેન્દ્રીય મંત્રી નીતિન
ગડકરી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે છત ધસી હોવાની જાણકારી
આપી હતી. સૈન્ય ફેકટરીની આરડીએક્સ બનાવતી શાખામાં
જવાહરલાલ વિસ્તારમાં ધડાકો થયો હતો, તે આખી ઇમારત નષ્ટ થઇ ગઇ
હતી. ભંડારા સ્થિત આ કારખાનામાં ખાસ સેના માટે અનેક પ્રકારના વિસ્ફોટકો બનાવાય છે. દરમ્યાન,
મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પેટોલેએ આ દુર્ઘટનાને મોદી સરકારની
નિષ્ફળતા લેખાવી હતી. આ ફેકટરીમાં નાના હથિયારો માટેનો વિસ્ફોટક સ્પિરિકલ પાઉડર પણ
બનાવાય છે, જેનો ઉપયોગ પહેલીવાર બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન સેનાએ
કર્યો હતો. ખાસ ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી-2024માં પણ ભંડારાની જ હથિયાર ફેક્ટરીના
સીએક્સ વિભાગમાં વિસ્ફોટ થયો હતો, જેમાં
એક વ્યક્તિનું મોત થયું હતું.