• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

મીઠીરોહરના વેરહાઉસમાંથી તસ્કરો 5.90 લાખના ભંગારની ચોરી કરી ગયા

ગાંધીધામ, તા. 20 : મીઠીરોહરમાં વેરહાઉસમાંથી તસ્કરો રૂા. પ.90 લાખની કિંમતના ભંગારની ચોરી કરી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. અંજાર એ.પી.એમ.સીમાંથી ગુવારની 16 બોરી ચોરાઈ હોવાનો મામલો પોલીસ દફતરે નોંધાયો હતો, જેમાં એક આરોપીને દબોચી લેવાયો છે. કંડલા વેરહાઉસમાં ગત તા. 30-12-2023થી તા. 14-7-2025 સુધીમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે વિપુલકુમાર ગગજીભાઈ  નકુમની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કેઆરોપી  બિનોય અબ્રાહમ, ચાકો અબ્રાહમ તથા જયરામ નોકરાજુ ગૂંટી વેરહાઉસમાં  તુરખિયા પ્રા. લિ. કંપનીના પડેલ કાસ્ટ આયરન ક્રેપ(ભંગાર) કુલ 541.82 ટનમાંથી 18 ટનનો ભંગાર કાઢી ગયા હતા. ચોરાયેલા માલની કિંમત રૂા. 5,90,000 આંકવામાં આવી છે. આરોપીએ પોતાના અંગત ફાયદા માટે ચોરીના કૃત્યને અંજામ આપ્યો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોરીનો વધુ એક બનાવ  એ.પી.એમ.સી  દુકાન નં. 33માં  ગત તા.17-12  થી તા.19-12 સુધીના અરસામાં બન્યો હતો. અજાણ્યા આરોપીએ ગોડાઉનમાંથી ગુવારની 16 બોરીની ઉઠાંતરી કરી હતી. જેની કિંમત રૂા. 53,530  આંકવામાં આવી છે, જેની ફરિયાદ રજનીક રાણાભાઈ આહીરે નોંધાવી હતી, જેમાં આ ચોરી કરનારા આરોપી રફિક સાલેમામદ બુચડ (અંજાર)ને ચોરાઉ મુદ્દામાલ સાથે અંજાર પોલીસે ઝડપી ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. સહઆરોપી સબીર હુશેન બુચડ (અંજાર)ને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

Panchang

dd