ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતા
ધરાવતા ભારત જેવા વિશાળ દેશમાં વિવિધ બાબતોએ મતમતાંતર એક સ્વાભાવિક પ્રક્રિયા રહી છે. ઐતિહાસિક ધાર્મિક આધારોના અર્થઘટનને લીધે જાગતા
આવા મતભેદના ઉકેલમાં અદાલતોની દરમ્યાનગીરી નિર્ણાયક રહી છે.
દેશ-વિદેશમાં ભારે ચર્ચાસ્પદ રહેલા રામજન્મભૂમિ મામલામાં અદાલતના આદેશ બાદ હવે
મધ્યપ્રદેશની વડી અદાલતે ધાર જિલ્લાના ભોજશાળા પરિસરમાં મા વાગ્દેવીનું એટલે કે સરસ્વતી
માતાનું પ્રાચિન મંદિર હોવાનું જાહેર કરીને હિન્દુ સમુદાયની તરફેણમાં ચુકાદો આપ્યો
છે. આમ તો અયોધ્યાના કેસની સરખામણીએ ભોજશાળાનો
મુદ્દો એટલો ચર્ચાસ્પદ નથી પણ તેનું મહત્ત્વ ઓછું તો નથી જ. અયોધ્યામાં રામમંદિરનો મુદ્દો 1પ29થી પ્રકાશમાં આવ્યો હતો, પણ ધારની ભોજશાળાનો મુદ્દો તો છેક વર્ષ 130પનો છે. આમ આ વિવાદ અયોધ્યા, કાશી અને તેના જેવા અન્ય સ્થળો
કરતાં જૂનો રહ્યો છે. આ કેસમાં રામજન્મભૂમિના
સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે પુરાતત્ત્વના આધારો અને આસ્થાના મહત્ત્વ જેવા મુદ્દાને ધ્યામાં
લઈને 2019માં આપેલા ચુકાદાના સિદ્ધાંતોનું
ભોજશાળાના આ કેસમાં વડી અદાલતે અનુસરણ કર્યું છે. ભોજશાળા કેસના ચુકાદાનો મુસ્લિમ પક્ષકાર
અયોધ્યાના આદેશની જેમ અસ્વીકાર કરી રહ્યો છે.
તેઓ આ ચુકાદાની સામે સર્વોચ્ચ અદાલતમાં જવાના છે. જો કે, ઈતિહાસ જાણતો મુસ્લિમ વર્ગ પણ એમ માને છે
કે, વડી અદાલતના ચુકાદામાં કોઈ પરિવર્તન થાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, વડી અદાલતે
આ આદેશ આપતાં પહેલાં લાંબી અને ઝીણવટભરી ચકાસણી
કરી છે. ઐતિહાસિક તથ્યો, પુરાતત્ત્વીય
સર્વેક્ષણ અને સ્થળ પરના પુરાવાને ધ્યાને લઈને બે ન્યાયમૂર્તિની બેંચે મુસ્લિમ પક્ષકારની
તમામ દલીલ અને દાવા નકારી કાઢયા હતા. આ મામલામાં ચાવીરૂપ પુરાવા આપનાર આર્કિયોલોજિકલ
સર્વે ઓફ ઈન્ડિયાએ વડી અદાલતને જણાવ્યું હતું કે, તેમના સર્વેક્ષણ દરમ્યાન મુસ્લિમ
સમુદાયના જાણકારો પણ હાજર હતા અને મુસ્લિમ પક્ષકારના પ્રતિનિધિ પણ જોડાયા હતા. સ્પષ્ટ
છે કે, ભોજશાળામાં સ્તંભો પર દેવ દેવીઓની મૂર્તિઓ, સંસ્કૃતના શ્લોકો અંકિત છે. દીવાલો
પર પણ સંસ્કૃતના વ્યાકરણ સહિતના લખાણો પણ વાંચી શકાય તેમ છે. આ બધા પુરાવાને ધ્યાને
લીધા બાદ વડી અદાલતે આપેલા ચુકાદાનો મુસ્લિમ પક્ષકાર સ્વીકાર શા માટે કરે છે એ એક મોટો
સવાલ છે. તેમના આ વલણથી સમાન્ય મુસ્લિમોમાં
એવી લાગણી જાગે છે કે, ન્યાયતંત્ર, સરકાર અને હિન્દુ સમુદાય તેમનની વિરુદ્ધ છે. હકીકતમાં સદીઓ પહેલાં હિન્દુ ધર્મસ્થળોને
ધ્વસ્ત કરીને તેમને મુસ્લિમ ધાર્મિક કેન્દ્રો બનાવવાની પ્રવૃત્તિ બેલગામ હતી, પણ તેમાં
હજી હિન્દુ ધર્મના પુરવા હજી અંકિત થયેલા છે.
હવે એમ જણાય છે કે, અયોધ્યા અને તે
પછી ભોજશાળાના અદાલતી ચુકાદા બાદ આવા અન્ય વિવાદોના ઉકેલનો આધાર બની શકશે. ખેરખર તો
આવા કેસોમાં મુસ્લિમ સમુદાયે વાસ્તવિકતા સમજીને દેશહિતમાં હકારાત્મક વલણ લેવું જોઈશે.