અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન કેવી રીતે તૂટી પડયું તેની સત્તાવાર
તપાસ શરૂ થયા પછી અહેવાલ એક વર્ષની અંદર આવવો જોઈએ એવી વ્યવસ્થા છે, છતાં સામાન્ય છાપ સેબોટેજ-આંતરિક ભાંગફોડ થઈ
હોય અથવા તો સિસ્ટમ હાઈજેક થઈ હોય એવી શંકા છે. આ દુર્ઘટનામાં નોંધપાત્ર બાબત એ છે
કે, સ્થાનિક લોકો તત્કાળ રાહત કાર્યમાં જોડાયા. ઘણી વખત લોકો
લૂંટફાટ - વેરવિખેર પડેલા સામાન શોધવા ફંફોળવા લાગતા હોય છે, પણ અહીં માનવતા અને માનવસેવા જોવા મળી છે. આવી દુર્ઘટનાની તપાસ કરવા માટે આપણા
સિવિલ એવીએશન - ઉડ્ડયન વિભાગમાં વિશેષ વ્યવસ્થા છે. અલગ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન
બ્યૂરો છે, જે તમામ ગંભીર અકસ્માતોની તપાસ કરે છે અને એક વર્ષની
મુદતની અંદર અહેવાલ સુપરત કરે તેવો નિયમ છે. અમદાવાદના અકસ્માતની ખબર મળતાં તરત જ નવી
દિલ્હીથી આ વિશેષ બ્યૂરોના નિષ્ણાતો અમદાવાદ જવા રવાના થયા હતા. બોઇંગ વિમાનની કંપની
અમેરિકાની છે, તેથી વિમાન મેન્યુફેક્ચર થયાં હોય તે વિમાનના ડિઝાઇનર
અને ઓપરેટર રજિસ્ટર થયા હોય તેને અકસ્માતની જાણ કરવામાં આવી તે મુજબ કંપનીના નિષ્ણાતો
તપાસમાં જોડાઈ રહ્યા છે. ચાર દાયકામાં આટલું મોટું જંગી વિમાન તૂટી પડવાનો ભારતમાં
આ પ્રથમ બનાવ છે. આ અગાઉ 1985માં જૂનમાં
એર ઇન્ડિયાના બોઇંગ વિમાન - કનિષ્ક હોનારત - ગ્રસ્ત થયું તે સેબોટેજ - ભાંગફોડનું પરિણામ
હતું. આ વખતે જૂન મહિનાનો યોગાનુયોગ છે અને ઘણા લોકો અકસ્માત માનવા તૈયાર નથી. બ્યૂરો
દ્વારા તપાસ ઉપરાંત વિગતવાર ઊંડાણથી તપાસ કરવા માટે ભારત સરકારે નિર્ણય લીધો છે. ઘટનાસ્થળે
રાહતકાર્યો પૂરાં થાય કે તરત `બ્યૂરો'ના નિષ્ણાતો પુરાવા એકઠા કરવા કામે લાગશે. વરસાદ
અથવા પવનના કારણે પુરાવા નાબૂદ થાય નહીં એ પણ જોવાનું છે. બ્લેક બોક્સ શોધવા ઉપરાંત
ફ્લાઈટ ડેટા રેકોર્ડર તપાસ અને વિશ્લેષણ માટે જરૂરી હોય છે. સ્થળની વિસ્તૃત ફોટોગ્રાફી
- વીડિયોગ્રાફી થશે. દુર્ઘટનાનાં કારણ તપાસવા સાથે ભવિષ્યમાં ફરીથી આવું બને નહીં તે
માટે પગલાં લઈ શકાય. તેની શરૂઆત પણ થઇ છે, ડીજીસીએએ દેશમાં રહેલા
બધા જ બોઇંગ-ડ્રીમ લાઇનરની સલામતી પરીક્ષણ કરવાનો આદેશ બહાર પાડી દીધો છે. 15મી જૂન-2025ના મધ્યરાત્રિથી દેશમાંથી ઉડાન ભરવા પહેલાં એક વિશેષ તપાસ ફરજિયાત
બનાવી દીધી છે, તો સાથે હતભાગી વિમાનનું
બ્લેક બોક્સ અને ડીવીઆર પણ મળી આવ્યા હોવાથી અકસ્માતનું ખરું કારણ પણ બહાર આવશે. દરેક
અકસ્માત ધાર્યા બહાર અને અચાનક બનતા હોવાથી સેબોટેજની આશંકા વ્યક્ત થાય જ છે અને ઘણા
કિસ્સામાં એ આવી પણ પડી છે. જો કે, અમદાવાદના કિસ્સામાં શું સાચું
છે એ તપાસ પછી ખબર પડશે. ટાટા સમૂહના ચેરમેન એન. ચંદ્રશેખરને પણ કહ્યું છે કે,
જે કોઇ ક્ષતિ કે ચૂક હશે એ અમે જાહેરમાં સ્વીકારીશું. અમે પૂરી પારદર્શિતા
સાથે તપાસને સહયોગ આપીએ છીએ. અમારા માટે આ ઘટના ઇતિહાસનો કાળો દિવસ છે, અમે કંઇ છુપાવીશું નહીં. સામાન્ય રીતે તપાસ માટે એક વર્ષનો ગાળો લાંબો ગણી
શકાય, આવી ગમખ્વાર ઘટના બને તેની તપાસ ચાલે અને અહેવાલ આવે ત્યાં
આવવી ઘટના ઘણીવાર મહત્ત્વ ગુમાવી બેસતી હોય છે. હવે સરકારે નવી ટેકનિકો સાથે આવી તપાસમાં
ઝડપ આવે એની તકેદારી લેવી જરૂરી છે. પુરાવા એકઠા કરવામાં ત્રણથી પાંચ દિવસ લાગી શકે,
તે પછી તેનું વિશ્લેષણ થશે તે પછી અહેવાલ સુપરત થાય અને ભલામણ મુજબ ભવિષ્યની
સલામતીનાં પગલાં લઈ શકાય.