તેલ અવીવ / તહેરાન, તા. 14 : ઈરાનના ચાર
અણુ મથક સહિતનાં સ્થળો પર ઈઝરાયલના ભીષણ હુમલા બાદ ઈરાને પણ વળતા વારમાં તેલ અવીવ, રિશોન લેઝિયોન અને જેરૂસલેમ સહિતના નગરો પર
200થી વધુ મિસાઈલો દાગી હતી, જેમાં કમસેકમ ત્રણ જણ માર્યા ગયા હતા તેમજ 90 ઘવાયા હતા. ઈરાન પર ઈઝરાયલનું આક્રમણ જારી છે, જેમાં કમસેકમ 138 જણનાં મોત થયાં છે અને 320થી વધુ ઘવાયા છે, બન્ને દેશ વચ્ચે યુદ્ધને પગલે સમગ્ર વિશ્વમાં
તણાવ ફેલાયો છે. દરમ્યાન ઈઝરાયલના સંરક્ષણમંત્રી ઈઝરાયેલ કાટ્ઝે ધમકી ઉચ્ચારી હતી કે,
જો ઈરાન ઈઝરાયલ પર વધુ મિસાઈલ હુમલા કરશે તો તહેરાન ભડકે બળશે. ઈઝરાયેલે
ઈરાનના વધુ બે ટોચના સૈન્ય કમાન્ડરને માર્યા હોવાનો દાવો કર્યો છે. ઓપરેશન રાઈઝિંગ
લાયન હેઠળ ઈઝરાયલનાં 200થી વધુ યુદ્ધવિમાને
ઈરાનનાં અનેક સ્થળને નિશાન બનાવ્યાં છે. ઈઝરાયલના વિદેશમંત્રી ગિદેન સાટે ભારતના સમકક્ષ
એસ. જયશંકર સાથે ફોન પર વાતચીત કરી હતી. ઈરાને ર00થી વધુ બેલેસ્ટિક મિસાઈલનો વરસાદ વરસાવ્યો હતો, જેમાંથી છ મિસાઈલ ઈઝરાયલના હવાઈ સંરક્ષણને ભેદીને
તેલ અવીવમાં ખાબકી હતી. ઈઝરાયલના ટોચના નેતાઓને બંકરોમાં લઈ જવામાં આવ્યા છે. ઈઝરાયલે
જાહેર કર્યા અનુસાર ઈરાનના મિસાઈલ હુમલામાં એક મહિલા સહિત ત્રણનાં મૃત્યુ થયાં છે અને
સાત સૈનિક સહિત 1પ0થી વધુને ઈજા પહોંચી છે. ઈરાને ઈઝરાયલના
સંરક્ષણ મંત્રાલયને પણ નિશાન બનાવ્યું હતું. ઈઝરાયલે શુક્રવારે વહેલી સવારે પ:30 કલાકથી ઈરાનના પરમાણુ મથકોને
નિશાન બનાવી હવાઈ હુમલો કર્યો હતો. ઈઝરાયલના હવાઈ હુમલામાં ઈરાનના છ પરમાણુ વૈજ્ઞાનિક, ર0થી વધુ લશ્કરી અધિકારી સહિત 140 જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે અને 3પ0થી વધુને ઈજા પહોંચી છે.
ઈઝરાયલના સંરક્ષણમંત્રી કાટ્ઝે ઈરાનના હુમલા બાદ ધમકી આપી કે, જો હુમલા ચાલુ રહ્યા તો તહેરાનને સળગાવી નાખશે.
ઈરાની સરમુખત્યારે પોતાના નાગરિકોને બંધક બનાવ્યા છે અને એવી સ્થિતિ ઊભી કરી રહ્યા
છે જેની તહેરાન ભારે કિંમત ચૂકવશે. ઈરાને હુમલા વધાર્યા બાદ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુને
સુરક્ષિત બંકરમાં ખસેડાયા છે. ઈરાનના સર્વોચ્ચ
નેતા આયાતુલ્લા ખોમેનીએ ચેતવણી આપી છે કે, ઈરાનના ઈઝરાયલ પરના
હુમલાની આડે કોઈ અમેરિકા, યુકે, ફ્રાન્સ
સહિત પશ્ચિમી દેશ આવ્યા તો તેમના લશ્કરી મથકો તથા જહાજોને નિશાન બનાવવામાં આવશે. ઈરાને
દાવો કર્યો છે કે, તેના મિસાઈલ હુમલામાં ઈઝરાયલના અનેક શહેરોને
નુકસાન થયું છે. એક મિસાઈલ સંરક્ષણ મંત્રાલયની ઈમારતને ટકરાઈ હતી. ઈરાને દાવો કર્યો
છે કે, ત્રણ ઈઝરાયલી એફ-3પ વિમાન તોડી પાડવામાં આવ્યા છે અને બે
પાઇલટને જીવતા પકડયા છે, જ્યારે એક
પાઇલટ માર્યો ગયો છે.