નવી દિલ્હી, તા. 14 : દેશભરમાં
ભારે આઘાત ફેલાવનારી અમદાવાદની એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં મરણાંક શનિવારે વધીને
270 થઇ ગયો હતો. આ પ્રાણઘાતક દુર્ઘટનાનાં
કારણો જાણવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ ઉચ્ચસ્તરિય સમિતિ ત્રણ મહિનામાં અહેવાલ
સોંપશે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આજે લોહિયાળ દુર્ઘટના પર પહેલીવાર
પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. ઉચ્ચસ્તરિય સમિતિ સોમવારે પહેલી બેઠક કરશે, તેવું નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમારસિંહાએ
કહ્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ કહ્યું હતું કે, ગઇકાલે શુક્રવારની સાંજે પાંચ વાગ્યે બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલની છત પરથી
મળી આવેલાં બ્લેક બોકસને ડિકોડ કરાઇ રહ્યું છે. આ બ્લેક બોકસની તપાસ પછી જ દુર્ઘટનાનાં
કારણો જાણી શકાશે. કેન્દ્ર સરકારે કેન્દ્રીય ગૃહ સચિવના અધ્યક્ષપદ હેઠળ એક ઉચ્ચસ્તરિય
સમિતિની રચના કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના
સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓ આ સમિતિમાં સામેલ છે. દુર્ઘટનાનાં કારણોની તપાસ કરીને
આ સમિતિ ત્રણ મહિનામાં વિગતવાર અહેવાલ સોંપશે.
આ સમિતિ અમદાવાદની એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના જેવા જીવલેણ અણ બનાવો ભવિષ્યમાં બનતા
રોકવા માટે સર્વગ્રાહી માર્ગદર્શિકા માટેનું સૂચન અને ભલામણ પણ કરશે. નાગરિક ઉડ્ડયનમંત્રી
નાયડુએ જણાવ્યું હતું કે, ભારત દેશ ઉડ્ડયન સુરક્ષાના ભારે કડક
ધોરણો તેમજ મજબૂત પ્રોટોકોલ ધરાવે છે. હવાઇ સફરની સુરક્ષા સુધારવા માટે બધાં જ પગલાં
લેવાશે. દરમ્યાન નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકના નિર્દેશ પર એર ઈન્ડિયાનાં બોઇંગ 787 ડ્રિમલાઇનર વિમાનોની તપાસ પૂરી
થઇ ચૂકી છે. ભારતમાં કુલ 34 ડ્રિમલાઇનર
વિમાન છે. પત્રકાર પરિષદમાં જ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના હતભાગીઓને અંજલિ આપતા દેશના
નાગરિક ઉડ્ડયનમંત્રી નાયડુએ જણાવ્યું હતું કે, મેં પણ મારા પિતાને માર્ગ દુર્ઘટનામાં ખેયા છે એટલે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં
જીવ ખોનારા યાત્રીઓના પરિવારોની પીડા સમજી શકું છું.