વેલકમ ટુ ઓન ધ બોર્ડ.... એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ એઆઇ-171માં અમદાવાદ આંતરાષ્ટ્રીય એરપોર્ટ
પરથી એક પછી એક ચડતા પ્રવાસીને એરહોસ્ટેસ દ્વારા સસ્મિત આવકાર અપાતો હશે, ત્યારે કોઇને કલ્પના સુદ્ધાં નહીં હોય કે થોડી
મિનિટો પછી બધાના જીવનો એકસાથે જોખમમાં આવી જવાનાં છે. ...ને બનાવે કેવો ભયાનક... ઊડતું
વિમાન એકાએક રહેણાક વિસ્તાર પર ખાબકે ને અગનગોળામાં ફેરવાઇ જાય... એર ઇન્ડિયાનાં બોઇંગ
787-8 વિમાનમાં યાંત્રિક ખામી થઇ? કે કંઇ બીજું બન્યું... એ બધી વિગતોનો ઘટસ્ફોટ
તપાસ પછી થશે, પરંતુ વાસ્તવિકતાને બે-ચાર પળ કોરાણે મૂકીને વિચારીએ
તો મગજ બહેર મારી જાય અને ભયનું લખલખું પસાર થઇ જાય કે એકસાથે 242 જિંદગી મોતનાં મોમાં જઇ પડે
એવી તે કાળની કેવી ગોઝારી ક્ષણો હશે ? વિમાન પાછું બી.જે. મેડિકલ કોલેજના
તાલીમી ડોક્ટરોના ક્વાર્ટર્સ અને મેસ પર ખાબક્યું, જેમાં કેટલાક
નવલોહિયા તબીબોનાં મૃત્યુ ને અનેક ઘવાયાં હોવાના અહેવાલ છે. રામ રાખે તેનો વાળે વાંકો
ન થાય એ ઉક્તિ સાચી ઠેરવતા બનાવમાં વિશ્વાસકુમાર નામના એક પ્રવાસી ઉગરી ગયા છે. આ વિચલિત કરનારી વિમાન દુર્ઘટનાથી
ન માત્ર ગુજરાત બલ્કે દેશ-દુનિયામાં અરેરાટી ફેલાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ્ય
જ કહ્યું છે કે, આ વિભિષિકાનું વર્ણન કરવા માટે શબ્દો નથી. હતભાગી
પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા વિજય રૂપાણી ઉપરાંત દેશના
અગ્રણી ઉદ્યોગપતિ કાર્ગો મોટર્સના પ્રમુખ નંદા પરિવાર તેમજ લુબીના ડિરેક્ટર સુભાષ અમીન
સહિત કેટલાક જાણીતા લોકોનો સમાવેશ થાય છે. શ્રી રૂપાણીનાં નિધનથી ગુજરાતે દિગ્ગજ અને
કુશળ રાજનેતા ગુમાવ્યા છે. વિમાન ડોક્ટરોના આવાસ પર ખાબક્યું હોવાથી ઓનગ્રાઉન્ડ જાનમાલની
નુકસાની મોટી હોવાની ભીતિ સેવાઇ રહી છે. સત્તાવાર મરણ આંક અને બીજી વિગતો મોડેથી જાહેર
થાય એવી સંભાવના છે. એકંદરે ગુરુવારે બપોરે થયેલી ભીષણ વિમાન દુર્ઘટનાએ ભલભલાને હચમચાવી
દીધા છે. 230 ઉતારુઓ અને
પાઇલટ સહિત ચાલક દળના 12 સભ્ય સાથે
લંડન જતા એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર વિમાનના અકસ્માતે અનેકના ડ્રીમને દુ:સ્વપ્નમાં
પલટી નાખ્યા છે. વિમાનને ઉડ્ડયનની ગણતરીની મિનિટમાં અકસ્માતના સંકેત આપતા પાઇલટે મેડેનો
એટલે કે, જોખમનો તાકીદનો સંદેશ આપ્યો હતો, પણ આ ગમખ્વાર અકસમાતે ભારતીય વિમાનીસેવાની સલામતી વ્યવસ્થા સામે મેડેનો સીધો
સંદેશ આપ્યો હોવાનું ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ભારતે જ્યારે વિકાસની હરણફાળ ભરી છે, ત્યારે સંખ્યાબંધ ક્ષેત્રોની અનિવાર્યતા પણ વધી રહી છે. આમાં હવાઈ સફર મોખરાનાં
સ્થાને આવે છે. આજે ભારતની હવાઈ સફરનું કદ વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. વર્ષે 3પ કરોડથી વધુ ભારતીય હવાઈ સફર કરે છે. 2014માં દેશમાં માત્ર 78 વિમાન મથક હતાં, જે હવે વધીને 140 થયાં છે.
આમ તો નાગરિક ઉડ્ડયન વિભાગની હસ્તકનાં આ 140 વિમાન મથક ઉપરાંત રાજ્યો હસ્તકનાં અને વાયુદળ હસ્તકનાં મળીને
કુલ 487 વિમાન મથક અને હવાઈપટ્ટીઓ દેશમાં
છે. આજે દુનિયાની ટોચની વિમાન ઉત્પાદક કંપનીઓ એરબસ અને બોઈંગ પાસે ભારતીય વિમાની કંપનીઓના
સેંકડો વિમાનોની ખરીદીના ઓર્ડર પડયા છે. આવા આકાશને આંબતા હવાઈ ક્ષેત્રના વિકાસમાં
વિમાનોની સલામતી અને મેઈન્ટેનન્સના ધોરણોનું ચોંકાવનારું ચિત્ર સામે આવતું રહે છે.
એક તરફ સ્પર્ધા અને ઉતારુઓનાં દબાણને વશ થઈને વિમાની કંપનીઓ નવાં વિમાનોની રાહ જોવાને
બદલે જૂનાં વિમાનોને થાગડથીગડ ઉપયોગમાં લેતી હોવાના કિસ્સા વધી રહ્યા છે. આમાં એર ઈન્ડિયાનું
નામ ચિંતાજનક રીતે મોખરે છે. સરકાર પાસેથી ટાટા ઉદ્યોગ સમૂહે હસ્તગત કરેલી એર ઈન્ડિયાને
નવાં વિમાનો ખરીદીને સેવા સુધારવા અને વધારવાની કમર કસી છે, પણ વિશ્વ સ્તરે વિમાની ભાગોની અછતને લીધે એરબસ
અને બોઈંગ નવાં વિમાનોના ઓર્ડરે વિલંબથી પૂરા કરે છે. પરિણામે એર ઈન્ડિયાએ તેના જૂના
વિમાની કાફલાને ઊડતો રાખવા આકાશ-પાતાળ એક કર્યા છે, પણ આ કરવામાં
તેને વિમાનોની સંભાળ લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એર ઈન્યાનાં
વિમાનોમાં સીટોથી માંડીને શૌચાલયોની બદતર હાલત મુસાફરો સહન કરતા આવ્યા છે, પણ વિમાન ઉડ્ડયન માટે અનિવાર્ય એવા ટેકનિકલ ધોરણોને જાળવવામાં ઘણી વખત સામે
આવતા પ્રશ્નોને લીધે ફ્લાઈટમાં વિલંબ અથવા તો રદ થવાના વધી રહેલા કિસ્સા એરલાઈન્સની
ટેકનિકલ ઊણપને સતત છતી કરતી આવી છે. અમદાવાદની દુર્ઘટનામાં એર ઈન્ડિયાનું બોઈંગ 787 - 8 ડ્રીમલાઈનર વિમાન તૂટી પડયું
છે. તેના મુખ્ય પાઇલટ આઠ હજાર કલાકના ઉડ્ડયનનો અને સહપાઇલટ 1100 કલાકના વિમાની ઉડ્ડયનનો બહોળો
અનુભવ ધરાવતા હતા. એક જ વખત ઈંધણ ભરીને સાત હજાર કિલોમીટર દૂર સુધી લંડન પહોંચવાની
ક્ષમતા ધરાવતા આ વિમાનના અકસ્માતે હવાઈ પ્રવાસની સલામતી સામે નવા અને ગંભીર સવાલ ખડા
કર્યા છે. આગામી દિવસોમાં હતભાગી વિમાનના બ્લેક બોક્સ અને ફ્લાઈટ ડેટા રેકોર્ડરમાંથી
અકસ્માતની ખરી હકીકતોનો ખુલાસો થશે અને ખામીઓને દુરસ્ત કરવા પર ધ્યાન અપાશે. અમદાવાદના અકસ્માતે વિમાન મથકની આસપાસના વિસ્તારોમાં
બાંધકામોની સલામતી સામે પણ ગંભીર પ્રશ્નાર્થ ખડો કર્યો છે. એર ઈન્ડિયાનું વિમાન તાલીમી
તબીબોની હોસ્ટેલ પર તૂટયું તેનાથી પણ ખુવારી થઈ હોવાના ગમીગીન અહેવાલ આવી રહ્યા છે.
રન-વેની નજીકનાં બાંધકામોમાં આમ તો હવાઈ સલામતીનાં ધોરણોનું પાલન કરાવાય છે, પણ હવે આ મામલે પણ નવેસરથી વિચાર કરવાની અનિવાર્યતા
દુ:ખદ રીતે છતી થઈ છે. આવનારા દિવસોમાં હવાઈ યાત્રા વધુ સલામત બને એવાં નક્કર પગલાં
લેવાય તો તે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાને સાચી અંજલિ બની રહેશે.વિમાન દુર્ઘટનાગ્રસ્ત
થવાના બનાવોથી હવાઇ યાત્રીઓ બેચેન બને એ સ્વાભાવિક છે. બોઇંગ વિમાન કંપની સામે પણ પ્રશ્નો
ઊઠી રહ્યા છે. આધુનિક સમયમાં ઝડપી પ્રવાસ માટે હવાઇ સફર અનિવાર્ય બનતી જાય છે. સમયની
સાથે વિમાન ઉડ્ડયનની સલામતી મજબૂત કરવા માટે ધ્યાન અપાઇ રહ્યું છે. ભારતમાં છેલ્લી
ખરાબ વિમાન દુર્ઘટના 2020માં થઇ હતી, જ્યારે એર ઇન્ડિયાનું બોઇંગ-737 દક્ષિણ ભારતમાં પર્વતીય એરપટ્ટી
પર સરકી જતાં 21 જણ માર્યા ગયા હતા. 12મી નવેમ્બર, 1996ના સાઉદી
અરેબિયાનાં વિમાનની હરિયાણામાં કઝાખસ્તાનના ઉતારુ વિમાન સાથે હવામાં ટક્કર થતાં બંને
વિમાનના 349 જણ મૃત્યુ પામ્યાં હતાં. દેશના
હવાઇ ઇતિહાસમાં આ અતિ ગોઝારી દુર્ઘટના છે. તેમાં સેવા અને સારવારમાં સૌ કોઇ જોતરાઇ
ગયા... હતભાગીઓના પરિવારજનો માટે ટાટા તરફથી એક-એક કરોડની સહાય જારી કરવામાં આવી છે, પણ માનવ જિંદગીથી વધુ કશું જ કિંમતી નથી. સૌ
હતભાગી પરિવારોને સાંત્વના.