• રવિવાર, 15 જૂન, 2025

કચ્છમાં ઓનલાઈન ઠગાઈની 50 કરોડની ચોંકવનારી વિગતો

ભુજ, તા. 13 : જાણીતી કંપનીના શેર જેમાં કમાવવાનું હોય તે બીજે ક્યાંય નહીં મળે. અમારી સાથે જોડાશો તો ઉપલી સર્કિટમાંથી મળી જશે અને રોકાણ થયેલી રકમ ટૂંકા ગાળામાં ડબલ થઈ જશે, આવા વોટ્સએપ ઉપર જાણે અધિકૃત હોય એવા મેસેજ અથવા ફોન આવતા લાલચમાં સારા-શાણા માણસોના લાખો રૂપિયા સલવાઈ જતાં એક પ્રકારની સાયબર ઠગાઈ થયાની પાછળથી જાણ થાય છે, ત્યારે તાજેતરમાં ભુજના એક તબીબ સાથેની ઘટના બાદ બહાર આવેલી વિગતો ચોંકવનારી છે. કેમ કે, કચ્છમાંથી અંદાજે 50 કરોડની ઠગાઈ થઈ હોવાનું તારણ છે. સાયબર ઠગ એવી ચાલાકી કરે છે કે, ગમે તેવી વ્યક્તિ લાલચ કે લોભમાં ફસાઈ જાય છે. જાણે કોઈ માન્ય શેરબજારની એજન્સી હોય એવા પ્રકારના વ્યવહાર કરવામાં આવે છે. નાની રકમ રોકવાની લાલચ આપી ડબલ થઈ ગયા હોવાના મેસેજ આવતા થઈ જાય છે. કેમ કે, જેને ફસાવવામાં આવે તેમની પાસેથી પાન-આધાર લિંક કરાવે. જાણે ઓરિજિનલ વેબસાઈટ પરથી આ કારોબાર ચાલે છે, તેવું દર્શાવે, એપ્લીકેશન પણ બતાવે પછી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવતાં હોય છે. નાની રકમનું રોકાણ કર્યા પછી ફાયદો જોતાં રોકાણકારો આ જાળમાં ફસાતા જાય છે. ત્રણ દિવસ પહેલાં ભુજના તબીબ ડો. આનંદ ચૌધરીએ શેરમાં કમાવવાની લાલચમાં રૂા. 41 લાખ ગુમાવ્યા હતા અને તેની ધોરણસર પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. મળેલી માહિતી પ્રમાણે આ દિવસો જતાં શહેરના અન્ય તબીબોને છેતરવાની મોટી સાજીશ રચાઈ હતી, તેમાંથી બચી ગયેલા ડો. વિશાલ દેસાઈનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, હા મને આવા ઘણા મેસેજ, ફોન આવ્યા પણ મને થોડું જ્ઞાન હોવાથી શેરબજારની ખાતરી કરતાં એક રૂપિયાનું રોકાણ કર્યું નહીં. ડો. દેસાઈએ જે કંપની મારફતે મેસેજ આવ્યા તેની સેબી, એન.એસ.ઈ. કે બી.એસ.ઈ. સાથે જોડાણ છે કે નહીં તેની ખરાઈ કરી હતી. શેર બજારમાં આ પ્રકારના નાણાં રોકવા હોય તો સેબી, એન.એસ.ઈ. કે બી.એસ.ઈ. મારફતે જવું પડે છે. જોખમ જેવું લાગતાં ના પાડી હતી. ડો. દેસાઈએ જણાવ્યું કે, એક તબક્કે નાણાં રોકનારને ફાયદો અનેકગણો બતાવી દેવામાં આવે. ટૂંક સમયમાં થતા ફાયદાથી સ્વભાવિકે કોઈને લાલચ જાગે છે, પણ ડબલ થઈ ગયેલી રકમ જો કોઈ પરત લેવા માગે તો તે પરત મળતી નથી. કેમ કે, એ સત્તાવાર ખાતું નહીં હોવાથી પાછળથી ઠગાઈ ગયાની જાણ થાય છે. એવા એવા મેઈલ આવે કે ગમે તેવા ભણેલા પણ જાળમાં ફસાઈ જતા હોય છે. ખરેખર સેબીની જ્યાં દેખરેખ હોય એવી જ માન્ય કંપનીમાં રોકાણ કરવું હિતાવહ છે, તેવો જાણકારોએ મત વ્યક્ત કર્યો હતો. ભુજના તબીબ પહેલાં ગયા મે મહિનામાં દરશડીના યુવાન સાથે રૂા. 27 લાખ, અંજારના યુવાનના 7.11 લાખ, ગળપાદરના શિક્ષિકા સાથે રૂા. 18.74 લાખની છેતરપિંડી થઈ હતી. ગયાં વર્ષે 2024ના અંતમાં નાગલપરના આધેડે રૂા. 17.22 લાખ ગુમાવ્યા હતા. 1 મહિના પહેલાં જ સમાઘોઘાની જીંદાલ કંપનીના અધિકારી સાથે રૂા. 57.25 લાખની ઓનલાઈન ઠગાઈ થઈ ચૂકી છે. શિણાયમાં યુવાન પાસેથી રૂા. 22.27 પડાવી લેવામાં આવ્યા હતા.  એક જ વર્ષમાં કરોડો રૂપિયાના કિસ્સા નોંધાઈ ચૂક્યા છે. જાણકારોના મતે કચ્છમાં એકાદ વર્ષમાં રૂા. 50 કરોડથી વધુની ઠગાઈ થઈ છે, પરંતુ પોતાની શાખ બચાવવા કે ઈન્કમટેક્સના ભયથી ઘણાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાથી ખરેખર પોલીસના સાયબર વિભાગે આ મુદ્દે કડક બનવાની જરૂર છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd