ભુજ, તા. 14 : વરસાદ પહેલાં વીજલાઈનો સુધારણા
કામગીરી હેઠળ ભુજ શહેરમાં આજે મોટાભાગના તમામ 12 ફીડરમાં વીજ પુરવઠો ગેટકો દ્વારા બંધ રાખવામાં આવતાં ભયંકર ગરમીમાં
શહેરીજનો અકળાયા હતા, તો સરપટ ગેટ
ફીડર સહિત બપોરે બે વાગ્યે પણ ચાલુ નહીં થતાં રીતસર બપોરે નાગરિકો શેકાયા હતા. આજે
એકસામટા શહેરના પી.જી.વી.સી.એલ.ના તમામ ફીડરોમાં સુધારણા કરવાનું સામૂહિક કામ હાથ ધરવામાં
આવ્યું હતું. સવારે 7 વાગ્યાથી
લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને પૂછતાં જાણવા મળ્યું કે, આ કામગીરી ગેટકો દ્વારા હાથ ધરવામાં આવી છે,
જેના અનુસંધાને સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી વીજળી પુરવઠો બંધ કરાયો
હતો. નાગરિકોએ જણાવ્યું કે, આવી ગરમીમાં ખરેખર ટુકડે ટુકડે એટલે
કે ચાર-ચાર કલાકમાં સવારના ભાગે 11 વાગ્યા સુધી જો સુધારણા કરવામાં આવે અને ભલેને બે દિવસ કરાય
તો થોડી રાહત મળી શકે, પરંતુ છેક
બે વાગ્યા સુધી 8 કલાક સળંગ
બંધ રાખવાથી ગરમીમાં મુશ્કેલી થતી હોય છે. ઘણા નાગરિકો પોતાના મોબાઈલ ચાર્જ કરવાનું
ચૂકી જતાં છતે મોબાઈલ સુવિધા કામ આવ ન હતી. તો ઘણા ઘરોમાં મોટરથી પાણી પણ ચડાવવાનું
રહી ગયું હતું. વીજળી બપોરે બે વાગ્યે પૂર્વવત થવાની હતી, પરંતુ શહેરના સરપટ ગેડ ફીડરમાં ખેંગારપાર્ક
પાસે નગરપાલિકાની કામગીરી હેઠળ કેબલ તોડી નાખવામાં આવતાં માંડ 4 વાગ્યે લાઈટ આવી હતી. આ સરપટ ગેટ હેઠળ સેંકડો
વીજગ્રાહકો ભારે પરેશાન બન્યા હતા. સરપટ ગેટમાં આમેય વારંવાર વીજવિક્ષેપ થતા હોય છે.
તેની વચ્ચે આજે એકબાજુ કાપ અને બીજીબાજુ બે વાગ્યા પછી કેબલમાં ક્ષતિ થતાં સૂર્યનારાયણના
પ્રકોપ સામે નાગરિકો ઘરોમાં શેકાયા હોવાની ફરિયાદ ઊઠી હતી.