• રવિવાર, 15 જૂન, 2025

નવ હતભાગીના ડીએનએ નમૂના મેચ થયા

અમદાવાદ, તા. 14 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં  ફોરેન્સિક ટીમો પીડિતોની ડીએનએ ઓળખ પૂર્ણ કરવા માટે સમય સામે દોડી રહી છે, અત્યાર સુધી નવ ડીએનએ નમૂના મેચ થયા છે ખેડાના હતભાગીનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. ગુજરાતના ફોરેન્સિક વૈજ્ઞાનિકોના સતત કાર્ય પર ધ્યાન કેન્દ્રીત કરતા વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. તેઓ છેલ્લી બે રાતથી ઊંઘ્યા નથી.  તેમણે ઉમેર્યું કેકેન્દ્ર સરકારે ચાલુ કામગીરીને ટેકો આપવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મોટી ટુકડી તૈનાત કરીને દાખલ કરી છે. હાલમાં, ગુજરાત સરકાર દ્વારા તૈનાત 36 ફોરેન્સિક નિષ્ણાત ઓળખ પ્રક્રિયામાં રોકાયેલા છે. દરમ્યાન અત્યાર સુધીમાં 248 સગા- સંબંધીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. ગઈકાલે આઠ મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી, જે મુસાફરો નહીં, પરંતુ વિમાન દુર્ઘટના સ્થળ આસપાસના રહેવાસી હતા. તેને કાનૂની પ્રક્રિયા બાદ તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા. આજે વધુ 11 મૃતદેહની ઓળખ કરવામાં આવી છે તેમાંથી નવ મૃતદેહ સુપરત કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે સુપરત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.   આરોગ્ય વિભાગે ટ્રોમા સેન્ટર ખાતે ઓર્થોર્પેડિક, ન્યૂરો, મેડિસિન, પ્લાસ્ટિક અને બર્ન્સના 100 જેટલા નિષ્ણાત-સહાયકોની પાંચ ટીમ તેમજ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે 32 નિષ્ણાત અને 20 સહાયકની ટીમ તેમજ બી.જે. મેડિકલ કોલેજનાં કસોટી ભવન ખાતે 12 નિષ્ણાતની ટીમ કાર્યરત કરી છે.  નશ્વર અવશેષોને સગા-સંબંધીઓને સોંપવા માટે ડોક્ટર્સ, સહાયકો, ડ્રાઈવરોની 591 ટીમ સભ્ય સહિત 192 એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. નશ્વર અવશેષો લઈ જવા માટે એમ્બ્યુલન્સ અને પોલીસ પાયલટ સેવા પણ પ્રદાન કરવામાં આવે છે. સંબંધિત જિલ્લાઓમાં નશ્વર અવશેષોને સંબંધિત જિલ્લાઓમાં પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 230 ટીમની રચના કરવામાં આવી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd