ભુજ, તા. 14 : ગઈકાલે સાંજે માંડવીના મોટા
આસંબિયાથી બિદડા તરફ જતા માર્ગે બાઈકની આડે પ્રાણી આવી જતાં બાઈક પરથી પટકાતાં બિદડાના
43 વર્ષીય યુવાન માવજીભાઈ રામજીભાઈ
મહેશ્વરીનું માથાંમાં ગંભીર ઈજાનાં પગલે મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે નખત્રાણાના પલીવાડ પાસે છ દિવસ પહેલાં
બે બાઈક અથડાતાં મંગવાણાના પ્રૌઢ પૂંજાભાઈ મહેશ્વરીને હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચતાં
સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. બિદડાના આંબેડકરનગરમાં રહેતા માવજીભાઈ મહેશ્વરી
ગઈકાલે સાંજે તેમની બાઈક નં. જી. જે. 12 એચ.બી. 5953વાળી લઈને
મોટા આસંબિયા કામથી પરત બિદડા ઘરે આવી રહ્યા હતા,
ત્યારે આશાપુરા કંપનીથી બિદડા તરફ જતા રોડ પર માર્ગ વચ્ચે કોઈ પ્રાણી
આવી જતાં તેમણે બાઈક પરથી કાબૂ ગુમાવી દેતાં નીચે પડી ગયા હતા. માથામાં ગંભીર ઈજા પહોંચતાં
પ્રથમ બિદડામાં પ્રાથમિક સારવાર બાદ ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેમનું મોત નીપજ્યું હતું. આજે કોડાય પોલીસે
વિગતો પરથી માર્ગ અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. બીજી તરફ ગત
તા. 8/6ના મંગવાણાના પૂંજાભાઈ તેમની
બાઈક નં. જી. જે. 12-બીબી 7143વાળી લઈને મંગવાણા આવતા હતા, ત્યારે પલીવાડથી મંગવાણા જતા રેલવેબ્રિજ ક્રોસ
કરી મંગવાણા તરફ સામેથી આવી રહેલી મોટરસાઈકલ નં. જી. જે. 12 એચબી 6589વાળી સાથે અથડાતાં અકસ્માત
સર્જાયો હતો. ઘાયલ પૂંજાભાઈને પ્રથમ મંગવાણાની સરકારી હોસ્પિટલ ખસેડાતાં પ્રાથમિક સારવાર
બાદ ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હેમરેજ જેવી ગંભીર ઈજાનાં પગલે સારવાર
દરમ્યાન તેમનું ગત તા. 11/6ના મૃત્યુ
થયું હતું. આ અંગે વિગતો આજે નખત્રાણા પોલીસ મથકે જાહેર કરાતાં સામેવાળા અજાણ્યા બાઈકચાલક
વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે.