ભુજ, તા. 12 : અહીંના સરપટ નાકા-જૂના ઓક્ટ્રોય
અને પોલીસ ગ્રાઉન્ડને અડીને આવેલા પુરુષોત્તમ દયાળજી પાર્ક પાસે જ એલ આકારમાં હાથલારી
ઉપર ધંધો કરતા લોકોથી ઘેરાયેલો જોવા મળે છે. પાર્કના દાતા અને નગરપાલિકા દ્વારા સમયાંતરે
બાળકોના મનોરંજન સાધનો તેમજ મોટી ઉંમરના લોકો માટે બેસવા સહિતની સુવિધા ઊભી કરવામાં
આવે છે, પરંતુ સાર-સંભાળનો અભાવ તેમજ પાર્કની ખુલ્લી
બે સાઇડમાં ધંધાદારીઓની નાસ્તા-ચા-પાણીની હાથલારીઓના કબજાનાં કારણે બગીચો રસ્તા ઉપરથી
જોવા પણ નથી મળતો, તેવું અહીંના નાગરિકોએ જણાવ્યું હતું. બગીચાના
મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ હાથલારીઓ ઊભી રહેતી હોવાથી બગીચામાં જવાનો માર્ગ ગોત્યો નથી
મળતો. બગીચાની સાર-સંભાળમાં ન.પા.ના નજરઅંદાજનાં કારણે બે-ત્રણ વર્ષ પહેલાં જ સુધારા-વધારા
પાછળ ખર્ચાયેલાં નાણાં પાણીમાં ગયાં જેવાં દૃશ્યો જોવા મળે છે. આખો દિવસ નશેડીઓ બેઠા
હોય છે, જેના કારણે લોકો આવતાં ભય અનુભવે છે. બગીચામાં બનાવાયેલા
શૌચાલયને તાળાં લાગી ગયાં છે અને લોખંડની કચરા પાટલીઓ પડેલી જોવા મળે છે. જ્યાં જગ્યા
મળે ત્યાં હાથલારીવાળા ગોઠવાઇ જવાના કિસ્સા રોજિંદા બન્યા છે. ત્યારે લોકો એક જ માંગ
કરી રહ્યા છે કમસેકમ એકબાજુ બગીચામાં આવવા-જવાની જગ્યા ખુલ્લી રાખવી નાગરિક ફરજ છે.
મધ્યમ અને નબળા પરિવારવાળા વિસ્તારમાં આવેલા પુરુષોત્તમ પાર્ક આનંદ-પ્રમોદ માટે હંમેશાં
ઉપલબ્ધ બની રહે તેવી લોકો માંગ કરી રહ્યા છે. હાથગાડી ઉપર ધંધો કરતા લોકોને અન્ય જગ્યાએ
ઊભા રહેવાની વ્યવસ્થા સુધરાઇએ કરવી જોઇએ તેવું લોકો કહી રહ્યા છે. પોલીસ સ્ટેશન અને
પોલીસ વસાહત હોવા છતાં બગીચામાં નશો કરતા આવારા તત્ત્વોની હાજરી પોલીસતંત્રની ધાક સામે
લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.