નવી દિલ્હી, તા.14 : છેલ્લા થોડા
સમયથી ચિંતાજનક રીતે ફેલાવા બાદ બે દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં થોડો ઘટાડો જોવા
મળ્યો છે. જોકે ગઈકાલે રાજસ્થાન અને કેરળમાં બે લોકોનાં કોરોનાથી મોત નોંધાયાં હતાં.
રાજસ્થાનમાં 70 વર્ષની મહિલા અને કેરળમાં 82 વર્ષના બુજુર્ગે શ્વાસ લેવામાં
તકલીફ બાદ દમ તોડયો હતો. આજે સવારે આઠ વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના 7400 સક્રિય કેસ હતા. વીતેલા 24 કલાકમાં 269 નવા કેસ નોંધાયા હતા. કોરોનાથી
મોતનો આંકડો વધીને 87 થયો હતો.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ પચ્ચીસ મૃત્યુ થયાં છે. રાજસ્થાનમાં કોરોનાથી આ વર્ષે બીજું
મૃત્યુ થયું હતું. કેરળમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 23 લોકોનાં મૃત્યુ થયાં હતા. કેરળમાં
હાલના સમયે દેશના સૌથી વધુ 2109 કોવિડ દર્દી
છે. ગુરુવાર સુધી અહીં 2165 સક્રિય કેસ
હતા. રાજસ્થાનમાં 24 કલાકમાં 34 નવા કેસ નોંધાયા હતા. ઉદયપુરના
આરએનટી મેડિકલ કોલેજથી જોડાયેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 70 વર્ષીય મહિલાનું મોત થયું હતું.
આ પહેલાં જયપુરમાં ગયા મહિને એક દર્દીનું મોત થયું હતું.