• મંગળવાર, 15 એપ્રિલ, 2025

ઈંધણમાં જકાત વધારો : સરકાર લોકોનું વિચારે

વિશ્વમાં પલટાઈ રહેલા આર્થિક સમીકરણો વચ્ચે ક્રૂડતેલના ભાવો નીચા રહ્યા છે, પણ ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલના પરની આબકારી જકાતમાં લિટરે બે-બે રૂપિયા  અને રાંધણગેસમાં પ0 રૂપિયાનો વધારો કરીને પેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં રાહતની આશા પર પાણી ફેરવી દીધું છે. જકાત વધારાની જાહેરાત સાથે ઈંધણના ભાવે વધશે એવી અટકળો સરકારે તાબડતોબ નકારીને આ વધારાની વપરાશકારોની ઉપર કોઈ અસર પડશે નહીં.  જો કે, આ વહેવારમાં એક કડવી વાસ્તવિકતા એ સામે આવી રહી છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવો ચાર વર્ષની નીચલી સપાટીએ છે, ત્યારે ખેરખર તો ઈંધણની કિંમતોમાં ઘટાડો કરીને નાગરિકોને તેનો લાભ અપાવો જોઈએ, પણ ભાવો ઘટે તો સરકારની વેરાની આવક ઘટી જાય એટલે પોતાની આવકને વધારવા સરકારે જકાત વધારી છે. પેટ્રોલ અને ડીઝલના વેચાણ ભાવોમાં સૌથી વધુ હિસ્સો સરકારી વેરાનો રહ્યો છે. આજે આ બન્ને ઈંધણના ભાવો લિટરે 100 રૂપિયાને આંબી રહ્યા છે. આ ઊંચા ભાવોને લીધે સમાન્ય નાગરિકોથી માંડીને ઉદ્યોગ જગત સૌના બજેટ પર મોટો બોજો અનુભવાતો રહ્યો છે, પણ સરકાર પોતાની આવક અને બજેટને જાળવવાની બાબતને સતત પ્રાધાન્ય આપીને વેરા અને જકાત વધારતી જાય છે. સરકારે આ વખતે એવો ખુલાસો કર્યો છે કે, હાલના કપરા આર્થિક સંજોગોમાં આ વધારાથી આવક ઊભી કરવામાં મદદ મળી શકશે. આ અગાઉ 10 વર્ષ પહેલાં જકાત વધારાઈ હતી, ત્યારે એવું કારણ અપાયું હતું કે, આ રકમથી ક્રૂડ તેલનો તાકીદનો જથ્થો એકઠો કરવામાં આવશે, પણ તે પછી સરકારે આ વેરામાં સતત વધારો કર્યો છે. વાસ્તવિક્તા એ છે કે, સરકારે તેની સગવડતા મુજબ અને રાજકીય જરૂરત અનુસાર ઈંધણના ભાવોમાં વેરાની વધઘટ કરી છે.  લોકસભાની ચૂંટણી હોય કે પછી કોઈ ચાવીરૂપ રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય મતદારોને રિઝવવા જકાતમાં ઘટાડો પણ કર્યો છે. વળી, અર્થશાત્રનો સાદો સિદ્ધાંત રહ્યો છે કે, ઈંધણના ભાવો વધવાથી મોંઘવારી પણ વધી જાય છે. એક તરફ સરકાર સામે મોંઘવારીને કાબૂમાં લેવાનો પડકાર દિવસોદિવસ મુશ્કેલ બની રહ્યો છે, તો પણ પોતાની આવકને વધારવાની વેતરણમાં આ ભાવોને ઘટાડવાની કોઈ પહેલ કરાતી નથી.  આમ તો દેશના ઈંધણના ભાવોને વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવોને અનુરૂપ રાખવાની નીતિ સરકારે જાહેર કરેલી છે, પણ તેમાં હવે પોતાની સગવડતા મુજબ ફેરફાર કરતો રહ્યો છે. ક્રૂડ તેલના ભાવો વધે એટલે ઈંધણની કિંમત વધારી નાખતી સરકાર ભાવો ઘટે ત્યારે વેરા વધારીને કિંમતો ઓછી કરવાનું આબાદ ટાળી નાખે છે. ખરેખર તો સરકારે તેની સ્વાર્થી નીતિની ત્યજીને લોકભોગ્ય વલણ પર ધ્યાન આપવાની જરૂરત છે.  આ વખતે જકાતમાં લિટરે બે રૂપિયાનો વધારો કરવાને બદલે કિંમતમાં એટલી રાહત આપી હોત તો મોંઘવારીને કાબૂમાં લેવાનો પડકાર હળવો બની શક્યો હોત અને લોકોના બજેટમાં હળવાશ આવી શકી હોત. સરકારે આ બાબતે નવેસરથી વિચાર કરવાની ખાસ જરૂરત છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd