નવી દિલ્હી, તા. 14 : અમેરિકા-ચીનના
વેપાર યુદ્ધ અને મંદીની આશંકાઓનાં કારણે આ વર્ષે સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં 4500 ડોલર
પ્રતિ ઔંશ સુધી પહોંચી શકે છે. આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ ગણતરી કરતાં ભારતમાં પીળી
ધાતુના ભાવ પ્રતિ 10 ગ્રામ 1.30 લાખ રૂપિયા સુધી જઇ શકે છે.
વિદેશી રોકાણ બેંક ગોલ્ડમેન સૈક્સ દ્વારા આવું અનુમાન અપાયું છે. જો કે, વેપાર યુદ્ધ વધુ વકરે કે
મંદીનાં જોખમો વધી જાય તો જ આવું થશે. અમેરિકાની ટેરિફ નીતિથી વેપાર યુદ્ધનાં વધતા
જોખમથી અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી શકે છે. વૈશ્વિક મંદીની આશંકા પણ વધી ગઇ છે.
આમ, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો સોનાંમાં રોકાણ
વધારી રહ્યાં છે. મંદીના સમયમાં સુવર્ણમાં રોકાણને સુરક્ષિત મનાય છે. વધુમાં,
ડોલર સામે રૂપિયો નબળો પડવાથી પણ સોનાંની કિંમતોમાં તેજી આવી છે.
રૂપિયો કમજોર પડે ત્યારે આયાત વધુ મોંઘી બની જાય છે. આ વખતે રૂપિયામાં લગભગ ચાર
ટકાનો ઘટાડો આવ્યો છે, જેના કારણે સોનાંની કિંમતો પર દબાણ
વધુ થઇ ગયું છે. લગ્નની મોસમ આવી રહી હોવાથી સોનાંનાં ઘરેણાની માંગ પણ વધી રહી છે.
અત્યારે પણ ઊંચી કિંમતો છતાં સુરક્ષિત રોકાણ મનાતા સોનાંનાં વેચાણમાં તેજી જોવા
મળી રહી છે.